સંપૂર્ણ પોષણ માટે ડબલ ફોર્ટીફાઇડ મીઠું અને ફોર્ટીફાઇડ ચોખાનો રોજિંદા આહારમાં સમાવેશ કરો

AI Image
એનિમિયા અને કુપોષણથી જન-જનને રક્ષણ આપે છે: આર્યન, આયોડીનથી સંપન્ન ડબલ ફોર્ટિફાઇડ મીઠું અને વિટામિન બી૧૨, ફોલિક એસિડથી સમૃદ્ધ ફોર્ટિફાઇડ ચોખા
નાગરિકોના સુસ્વાસ્થ્ય માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારશ્રીના કુપોષણ અને એનિમિયા રોકવા માટેના ભગીરથ પ્રયાસરૂપે ડબલ ફોર્ટીફાઈડ મીઠું “કલ્પતરુ” અને ફોર્ટીફાઈડ ચોખાં લોન્ચ કરવામાં આવ્યાં છે અને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા આ સુધારેલ અને આરોગ્યવર્ધક ચોખા/મીઠું તમામ નાગરીકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
એનિમિયા અને કુપોષણથી જન-જનને રક્ષણ આપતાં આર્યન,આયોડીનથી સંપન્ન ડબલ ફોર્ટીફાઇડ મીઠું અને વિટામિન બી૧૨, ફોલિક એસિડ તેમજ આર્યનથી સમૃદ્ધ ફોર્ટીફાઇડ ચોખા વિષે થોડી માહિતી મેળવીએ.. Include double fortified salt and fortified rice in your daily diet for complete nutrition.
ડબલ ફોર્ટીફાઇડ મીઠું ઃ મીઠાનો રોજીંદી ભોજન વ્યવસ્થામાં વ્યાપકપણે ઉપયોગ થતો હોવાથી તે રસોઈનો અને દરેક વ્યક્તિના ભોજનનો અને એક મહત્વપૂર્ણ હિસ્સો છે. મીઠું આપણા શરીરમાં ખુટતાં સુક્ષ્મ દ્રવ્યો પહોંચાડવા માટેનું એક સંપૂર્ણ અને ઉત્તમ વાહક બની શકે તેમ હોવાથી આયોડીન અને આર્યન જેવા પોષક તત્વો માટે વાહક તરીકે મીઠું પસંદ કરવામાં આવ્યું અને તેમાંથી જન્મ થયો ડબલ ફોર્ટીફાઈડ મીઠાંનો.
ડબલ ફોર્ટીફાઈડ મીઠું એક નવા પ્રકારનું મીઠું છે, જે ભોજનમાં બે સૂક્ષ્મ પોષક તત્વો આયોડિન અને આર્યન પુરા પાડે છે. આ મીઠાના ઘટકતત્વો સામાન્ય રીતે આપણા દૈનિક આહારની આયોડિનની જરૂરિયાતના ૧૦૦ ટકા અને આર્યનની જરૂરિયાતના ૩૦ થી ૬૦ ટકા પુરી કરે છે. આર્યનની બાકીની જરૂરિયાત લીલાં શાકભાજી, કઠોળ, અન્ય આર્યનયુક્ત ખોરાક ઉપરાંત જરૂર પડ્યે આર્યનની ગોળી કે સિરપ દ્વારા પુરી કરી શકાય છે. આયોડિન અને આર્યનની ઉણપને લીધે થતી સમસ્યાઓ નિવારવા માટે ડબલ ફોર્ટીફાઈડ મીઠું ઉપયોગી છે.
“કલ્પતરૂ” ના નામે ઓળખાતું ડબલ ફોર્ટીફાઇડ મીઠું ઘરેલું ખોરાકમાં સરળતાથી વાપરી શકાય છે, તે રોજિંદા ખોરાક જેવાં કે શાક, દાળ, રોટી વગેરેમાં મિશ્રિત કરવું આરોગ્ય માટે લાભદાયી છે.
પીએમ-પોષણ યોજના (મિડ-ડે મીલ)માં બાળકો માટે બનાવવામાં આવતા ભોજનમાં પણ આ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. કલ્પતરૂ ડબલ ફોર્ટીફાઇડ મીઠું રાજયના તમામ એન.એફ.એસ.એ. કાર્ડધારકો માટે દરેક વાજબી ભાવની દુકાને ઉપલબ્ધ છે.
ડબલ ફોર્ટીફાઈડ મીઠું પરિવારના તમામ સભ્યો ખાઈ શકે છે. પરંતુ કિશોરીઓ અને મહિલાઓમાં એનીમિયાનું જોખમ વધારે હોવાથી, તેમણે આ મીઠું ખાસ વાપરવું જોઈએ. ડબલ ફોર્ટીફાઈડ મીઠામાં દેખાતા કાળા કણો મીઠામાં આર્યન ઉમેરેલું છે તે દર્શાવે છે.
પર્યાપ્ત માત્રામાં આર્યન આપણા શરીરમાં એનેમિયા થતો અટકાવવામાં મદદરૂપ થાય છે. ડબલ ફોર્ટીફાઈડ મીઠું આપણને આયોડીનની ઉણપને લીધે થતી, સૌથી વધારે જોવા મળતી ગોઇટર (ગળામાં ગાંઠ)ની બિમારીથી બચાવે છે.
બાળકોના મગજ અને શરીરના યોગ્ય વિકાસ માટે આયોડીન અને આર્યન આવશ્યક હોવાથી તેમજ વ્યાપકપણે જોવા મળતાં એનીમિયાથી બચવા માટે સાદું મીઠું વાપરવાની જગ્યાએ ડબલ ફોર્ટીફાઈડ મીઠું વાપરવું જરૂરી છે.
આયોડિન બાળકોના સર્વાંગી શારીરિક અને માનસિક વિકાસ તેમજ શરીરના વિવિધ અંગો જેમ કે હ્રદય, મગજ અને સ્નાયુઓની કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. બાળકોના મગજનો યોગ્ય વિકાસ થવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોવાથી આયોડિન સગર્ભાઓ અને ધાત્રી માતાઓ માટે જરૂરી છે. આર્યન શરીરની સામાન્ય ઊર્જા અને એકાગ્રતા. પાચનક્રિયાઓ, રોગપ્રતિકારક શક્તિ અને શરીરના તાપમાનનું નિયમન જેવી અનેક મહત્વપૂર્ણ કામગીરીને જાળવવામાં મદદરૂપ થાય છે.
ડબલ ફોર્ટીફાઈડ મીઠામાં આયોડિન ઉપરાંત આર્યન હોવાથી, રસોઈ બની જાય ત્યાર બાદ જ ડબલ ફોર્ટીફાઈડ મીઠું ઉપરથી ઉમેરવું. ડબલ ફોર્ટીફાઈડ મીઠાને બરણીમાંથી ચમચી વડે જ કાઢવું. તેને પ્લાસ્ટિક અથવા કાચની બંધ બરણીમાં રાખવું જોઈએ અને ભેજ તેમજ સૂર્યપ્રકાશથી દૂર રાખવું જોઈએ સીધો સૂર્યપ્રકાશ મીઠામાંના આયોડીનની માત્રા ઘટાડી શકે છે.
ડબલ ફોર્ટીફાઈડ મીઠું એના ઉત્પાદનની તારીખથી ૧૨ મહિના સુધી વપરાશ યોગ્ય રહે છે. ડબલ ફોર્ટીફાઈડ મીઠું બનાવવાની પ્રક્રિયા મોંઘી હોય છે, પરંતુ સરકારશ્રીની યોજનાઓ હેઠળ ટોકન ભાવે અથવા તો વિનામૂલ્યે આ મીઠું ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ડબલ ફોર્ટીફાઈડ મીઠાનો સ્વાદ સામાન્ય મીઠા જેવો જ હોય છે. મીઠામાં આયોડીન અને આર્યન ઉમેરાવાથી મીઠામાં કે તે મીઠું વાપરી બનાવેલા ભોજનના સ્વાદમાં કોઈ ફેર પડતો નથી.
ફોર્ટીફાઇડ ચોખા ઃ ફોર્ટિફાઇડ ચોખામાં આર્યન, ફોલિક એસિડ, વિટામિન બી ૧૨ અને અન્ય પોષક તત્વો મિશ્રિત કરવામાં આવે છે. ફોર્ટીફાઇડ ચોખાનો સંગ્રહ, તેને રાંધવાની પદ્ધતિ તેમજ સ્વાદ સામાન્ય ચોખા જેવો જ હોય છે. તેના ફાયદા અનેક છે.
તે આર્યન અને વિટામિનની ઉણપ દૂર કરીને શરીરમાં ઉર્જા અને તાકાત બક્ષે છે. તેનાથી ફોલિક એસિડ અને વિટામિન બી ૧૨ મળતાં લોહીની કમી દૂર થાય છે, એનિમિયા થતો અટકે છે. મગજની કાર્યક્ષમતા વધારવા અને રકતકણોના ઉત્પાદન માટે જરૂરી વિટામીન બી-૧૨ તેમાંથી મળે છે. તે બાળકોના યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ માટે ફાયદાકારક છે.
તેમાંનું ફોલીક એસીડ ગર્ભમાં રહેલ શિશુના વિકાસ અને રકત ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. તે સામાન્ય ચોખાના બદલે વાપરવામાં આવે તો વધારાના પોષક તત્વો મળતાં હોવાથે આરોગ્ય માટે લાભદાયી સાબિત થાય છે. ફોર્ટીફાઇડ ચોખાનો ઉપયોગ શાકભાજી ભાત, ખીચડી, પુલાવ અને અન્ય ચોખા આધારિત વાનગીઓમાં કરી શકાય છે.
સંપૂર્ણ પોષણ માટે ડબલ ફોર્ટીફાઇડ મીઠું અને ફોર્ટીફાઇડ ચોખાનો રોજિંદા આહારમા સમાવેશ કરો અને સ્વસ્થ જીવન જીવો. (માહિતી વિભાગ દાહોદ, ગુજરાત)