Western Times News

Gujarati News

ભારત પુરાવા વગર ‘ઓપરેશન સિંદૂર’ કરે જ નહીંઃ થરૂર

થરૂરનો દીકરો ઈશાન વોશિંગ્ટન પોસ્ટમાં ગ્લોબલ અફેર્સ કોલમિસ્ટ છે

પાકિસ્તાનની નાલાયકીની પોલ ખોલવા અમેરિકા પહોંચેલા શશિ થરૂરને પત્રકાર દીકરાએ સણસણતો સવાલ પૂછ્યો

નવી દિલ્હી,ભારતના બહુપક્ષીય પ્રતિનિધિ મંડળ સાથે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અમેરિકા પહોંચ્યા છે. દુનિયા સમક્ષ પાકિસ્તાનની નાલાયકીની પોલ ખોલવા નીકળેલા શશિ થરૂરનો સામનો તેમના પત્રકાર દીકરા સાથે થયો હતો. પત્રકાર દીકરાએ થરૂરને સણસણતો સવાલ પૂછી નાખ્યો હતો કે, પાકિસ્તાન પર આક્ષેપ કરતાં પહેલા ભારતીય પ્રતિનિધિઓએ પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા માગ્યા હતા ખરા? જવાબમાં થરૂરે કહ્યું હતું કે, સજ્જડ પુરાવા વગર ભારત ‘ઓપરેશન સિંદૂર’ કરે જ નહીં. થરૂરનો દીકરો ઈશાન વોશિંગ્ટન પોસ્ટમાં ગ્લોબલ અફેર્સ કોલમિસ્ટ છે.

થરૂરે તેને કહ્યું હતું કે, પૂરતા પુરાવા ન હોય તો આ પ્રકારના ઓપરેશનને મંજૂરી આપી શકાય નહીં. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ ખાતે વાતચીત દરમિયાન સવાલ સાંભળતા થરૂર હસી પડ્યા હતા અને કહ્યું હતું કે, આ મારો દીકરો છે અને તે ચોક્કસપણે પર્સનલ કેપેસિટીમાં સવાલ પૂછી રહ્યો છે. થરૂરે પોતાના હાસ્ય સાથે સવાલને હળવો બનાવવા પ્રયાસ કર્યાે હતો, પરંતુ તેમનો દીકરો પણ ગાંજ્યો જાય તેવો ન હતો. ઈશાને તેમને વળતો સવાલ કર્યાે હતો કે, આમ છતાં તે ઉત્સુક છે. કારણકે થરૂર ઘણાં બધાં પશ્ચિમી દેશોનો પ્રવાસ કરી રહ્યા છે. સરકારના કોઈપણ પ્રતિનિધિએ પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી માટે પુરાવા જોયા છે ખરા? પાકિસ્તાને વારંવાર પોતાનો હાથ નહીં હોવાનું રટણ કર્યું છે.

તો પાકિસ્તાનના રદિયા બાબતે તમે શું કહેશો? દીકરાના સવાલોનો મારો જોઈને પરિપક્વ રાજકારણી થરૂરે પણ સૂર બદલ્યા હતા. તેમણે પોતાની સમયસૂચકતા દર્શાવતા કહ્યું હતું કે, ઈશાને આ સવાલ ઊભો કર્યાે હોવાથી ઘણો ખુશ છું. આવું કંઈ વિચાર્યુ ન હતું. આ છોકરો પોતાના પિતા સાથે પણ આવું કરે છે. થરૂરના આ જવાબથી બેઠકમાં હાસ્યનું મોજું ફરી વળ્યુ હતું. જો કે થરૂરે તરત પોતાની વાતને જવાબની દિશામાં વાળતા કહ્યું હતું કે, આ ખૂબ સીધી વાત છે. આ બાબતે કોઈને શંકા નથી અને અમારી પાસે કોઈએ પુરાવા માગ્યા નથી. માત્ર મીડિયા જ પુરાવા માગે છે અમે અમારા સમાજ માટે વાત કરી રહ્યા છે. થરૂરે જવાબ આપતા કહ્યું હતું કે, નક્કર પુરાવા ન હોવા છતાં સૈન્ય ઓપરેશન હાથ ધરવાનું વિચારે તેવો દેશ ભારત નથી.

અમારી સરકારે છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાન ખાતે આવેલી ૨૪ આતંકી છાવણીઓ તબાહ કરી છે. અમે આતંકવાદીઓને પકડ્યા છે અથવા મારી નાખ્યા છે. ભારતે ગુપ્તચર માહિતી, નક્કર આયોજન સાથે ભારતે લોકોના ધર્મ પૂછીને હત્યા કરનારા આતંકવાદીઓને બે આંખ વચ્ચે ગોળી મારી છે. ભારત છેલ્લા ૩૭ વર્ષથી પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલા વેઠી રહ્યું છે અને પાકિસ્તાન દર વખતે તેને રદિયો આપે છે. ઓસામા બિન લાદેન અંગે કોઈ માહિતી નહીં હોવાનું રટણ પાકિસ્તાન કરતું હતું, પરંતુ તે પાકિસ્તાન ખાતે એક સેફ હાઉસમાં સંતાયેલો હતો. આ બાબત અમેરિકનોને યાદ જ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.