Western Times News

Gujarati News

ઈન્ડિગોની ફ્લાઈટ આંધીમાં સપડાઈ, પાયલટે લેન્ડિંગ ટાળ્યું

નવી દિલ્હી, દિલ્હીના હવામાનમાં એકાએક પલટો આવતા રવિવારે ઈન્ડિગોની રાયપુર-દિલ્હી ફ્લાઈટ લેન્ડ થાય તે અગાઉ ધૂળના તોફાનમાં સપડાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પાયલટે સયમસુચકતા દર્શાવી હતી અને વિમાનનું લેન્ડિંગ ટાળ્યું હતું.

બાદમાં પરિસ્થિતિમાં સુધારો થતા સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોની રાયપુર-દિલ્હી રૂટની ફ્લાઈટ ૬ઈ ૬૩૧૩ના મુસાફરોને રવિવારે કડવો અનુભવ થયો હતો.

રાયપુરથી ઉડેલું વિમાન દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરે તેની થોડી જ ક્ષણ પૂર્વે ધૂળના તોફાનમાં ફસાયું હતું. ચાલુ વિમાનમાં ભારે આંચકાઓ અનુભવાયા હતા અને મુસફારોએ દેકારો કરી મુક્યો હતો.

પાયલટે જણાવ્યું કે, હવાની ઝડપ ૮૦ કિ.મી. પ્રતિ કલાક છે ને તેને પગલે હાલમાં લેન્ડિંગ શક્ય નથી. પાયલટે બાદમાં વિમાનને સુરક્ષિત રીતે ઉડાડવાનું ચાલુ રાખ્યું હતું અને કેટલાક ચક્કર લગાવ્યા હતા.

હવામાન સુધરતા વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. રવિવારે દિલ્હી અને એનસીઆરમાં વાતાવરણ પલટાયું હતું જેમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી અને બાદમાં હળવો વરસાદ પણ પડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પાલમ વિસ્તારમાં ૯૬ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાયો હતો.

આ કારણથી સાંજે ૫થી ૫.૩૦ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટો પ્રભાવિત થઈ હતી. ચાર ફ્લાઈટ પૈકી એકને ચંડિગઢ તથા બીજીને અમૃતસર અને બાકી બેને જયપુર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.