જમ્મુ કાશ્મીર પોલીસે આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન પકડી પાડયું : બેની ધરપકડ
જમ્મુ અને કાશ્મીરની પોલીસે કરેલી તપાસમાં યુરોપ સ્થિત ત્રાસવાદી સંગઠનો સાથે જ.કા.નાં ત્રાસવાદી સંગઠનો પણ જાેડાયેલું હોવાનું બહાર આવ્યું છે. આ પર્દાફાશ અચાનક તે રીતે થયો કે જમ્મુ અને કાશ્મીરની પોલીસે ૩૦મી ઓક્ટોબરે બે ઘૂસણખોર ત્રાસવાદીઓને પકડી પાડયા હતા. તેઓ પાસેથી ૪ પિસ્તોલ, તેના આઠ મેગેઝિન્સ તથા ૪૭ રાઉન્ડઝ પણ મળી આવ્યા હતા. તેઓની સઘન પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે તેઓ પાકિસ્તાન તરફથી આવતાં ડ્રોન વિમાનો દ્વારા ફેંકાયેલા શસ્ત્રો અને વિસ્ફોટકો તેમના સાથીઓને પહોંચાડતા હતા.
આ અંગે વધુ તપાસ હાથ ધરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, ડ્રોન વિમાનો દ્વારા ‘બાસપુરા બંગલા’ વિસ્તારમાં તથા આર.એસ. પુરા નજીકની આંંતર રાષ્ટ્રીય સરહદે પણ ડ્રોન દ્વારા શસ્ત્રો તથા વિસ્ફોટકો ફેંકવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરના એડીશનલ ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ મુકેશસિંહે જણાવ્યું હતું કે બોઝ અને સમશેરસિંઘ નામના આ ત્રાસવાદીઓએ જણાવ્યું હતું કે, તેમના કો-ઓર્ડીનેટર તો યુરોપમાં વસે છે.
તેઓ બંને જમ્મુ સ્થિત ઓન ગ્રાઉન્ડ વર્કરના સતત સંપર્કમાં પણ રહે છે. તેમજ યુરોપ સ્થિત ત્રાસવાદી જૂથોના પણ સંપર્કમાં રહી ‘સંકલનકાર’ની પણ કાર્યવાહી બજાવી રહ્યા છે. તેમની સાથે એક ત્રાસવાદી બલવિંદર સિંઘ પણ જાેડાયેલો છે જે આ બંને તથા યુરોપ સ્થિત ત્રાસવાદી જૂથની કડીરૂપ છે. આ બલવિંદર જ અગ્રીમ સંકલનકાર (કડી)રૂપ છે. તે આવા ધરપકડ કરાયેલા ત્રાસવાદીઓ સમાન અન્ય ત્રાસવાદીઓને પણ પાકિસ્તાનમાંથી આવતાં ડ્રોન વિમાનો દ્વારા ફેંકાયેલા શસ્ત્રો અને વિસ્ફોટકો પહોંચાડવાનું કામ કરે છે.