જામનગરને ગુનાખોરીમાં ધકેલે તેવા ઉમેદવારો ન આપતાઃ સાંસદ નથવાણી

‘શહેરને શ્રેષ્ઠ-શિક્ષિત-સંસ્કારી, સમજદાર નેતાગીરી મળવી જાેઈએ’
અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં ૧ ડિસેમ્બર અને પ ડિસેમ્બર, ર૦રરના રોજ યોજવાની ગુરૂવારે ભારતના ચૂંટણીપંચે જાહેરાત કરી છે અને રાજકીય પક્ષોએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે તેવા સમયે રાજયસભા સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેકટર પરિમલ નથવાણીએ તમામ રાજકીય પક્ષોને જાહેર અપીલ કરી છે કે, જામનગરને ગુનાખોરીમાં ધકેલે તેવા ઉમેદવારો આપશો નહી.
પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, જામનગર શાંત-સલામત અને ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપી વિકાસ કરતું શહેર છે, વિકાસની અપાર શક્યતાઓ છે. જામનગર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝગમગવા થનગની રહ્યું છે. આ મહત્વપૂર્ણ સ્થિતિમાં શહેરને શ્રેષ્ઠ- શિક્ષિત-સંસ્કારી, સમજદાર નેતાગીરી મળવી જાેઈએ.
નથવાણીએ દરેક પક્ષોને અપીલ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જામનગરને ગુંડાગીરીમાં હોમી દે તેવા ઉમેદવારો આપતા નહીં. નકારાત્મક અને ગુનાખોરીની વૃતિ અને ઈમેજ ધરાવતા નેતાઓને કોઈ પણ પક્ષે ટિકીટ આપવી ન જાેઈએ. દરેક પક્ષોમાં સારા, તેજસ્વી, સકારાત્મક નેતાઓ ઘણા હોય છે, આવા નેતાઓને તક મળવી જાેઈએ. જામનગરની શાંતિ-સલામતી-સમૃદ્ધિ- વિકાસની ગતિ અવરોધે તેવા લોકોને ઉમેદવાર બનાવતા નહી.