ઝઘડિયાની મહિલાઓનો પાણીના મુદ્દે ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે આજરોજ ગામના બાગ ફળિયાની મહિલાઓએ પીવાના પાણીના મુદ્દે હલ્લાબોલ મચાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ મહિલાઓએ તેમની રજુઆતમાં રાત્રે બે ત્રણ વાગ્યે પાણી આપવામાં આવતું હોવાની બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો.રાત્રે ત્રણ વાગ્યે પાણી અપાય છે તેમાં સમય બદલવા મહિલાઓએ માંગ કરી હતી.રાત્રે ઉંઘમાંથી ઉઠીને પાણી ભરવું પડતું હોઈ મહિલાઓ હાલાકિ ભોગવી રહી હોવાનું રજુઆતમાં જણાવાયું હતું.
મળતી વિગતો મુજબ મહિલાઓની આ રજુઆત સમયે સરપંચ હાજર નહિ હોવાથી મહિલાઓએ તલાટી સમક્ષ પોતાની તકલીફો રજુ કરીને તેનો હલ લાવવા માંગ કરી હતી.ઉલ્લેખનીય છેકે અગાઉ અન્ય ફળિયાના રહીશો પણ પાણીની તકલીફને લઇને રોષે ભરાયા હતા અને ગ્રામ પંચાયત કચેરી ખાતે ધારદાર રજુઆતો કરી હતી.
બાગ ફળિયાની મહિલાઓએ રાત્રે ત્રણ વાગ્યા આસપાસના સમયે છોડવામાં આવતા પાણીને લઈને હલ્લાબોલ મચાવીને જણાવ્યું હતું કે પાણી છોડવાવાળા તો રાત્રે પાણી છોડીને સુઇ જાય છે.પરંતું મહિલાઓએ તકલીફ ભોગવવી પડે છે.
ઉપરાંત રજુઆતમાં પીવાના પાણીની સમસ્યા ઉપરાંત ગટરોની સમસ્યાને લઈને પણ રજુઆત કરી હતી.જ્યારે લોકોને પડતી તકલીફો જોવા પંચાયત સત્તાધીશો આવતા નથી એમ પણ રજુઆતમાં જણાવાયું હતું.ત્યારે ઝઘડિયા સુલતાનપુરા ગામે પ્રવર્તમાન પીવાના પાણીની સમસ્યા તાકીદે હલ કરાય તે જરૂરી છે.