Western Times News

Gujarati News

યોગી આદિત્યનાથે કાવડ યાત્રાને ભારતભરમાં પ્રસિધ્ધ કરી દીધી

પરત ફરતી વખતે કાવડના જે ઘડામાં જળ ભર્યું હોય તેનો સ્પર્શ જમીનને ન થઈ જાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે

૪૦થી ૧૦૦ કિલોની કાવડ ઉંચકીને યાત્રા કરી રહેલા એક કરોડ કાવડિયા

ધાર્મિક પદયાત્રાનું માર્કેટિંગ યોગી આદિત્યનાથને બહુ સારૂં આવડે છે. પહેલાં કાવડ યાત્રાના માર્ગ પરના એક લાખ વૃક્ષો કાપવાનો અને પછી દુકાનો પર માલિકોના નામ લખવાનો આદેશ આપીને કાવડ યાત્રાને તેમણે ટોક-ઓફ-ધ-કન્ટ્રી બનાવી દીધી છે. કાવડ યાત્રામાં સહભાગીઓની સંખ્યા ઘટતી જતી હતી, નવી પેઢીના યુવાનો વજનદાર કાવડ ઉંચકીને ચાલવાની પરંપરાથી દૂર થતા જતા હતા,

પણ યોગી આદિત્યનાથના આ બે દાવથી આ વખતે કાવડ યાત્રામાં ભાગ લેનારાઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. ખાસ કરીને કાવડ યાત્રાના માર્ગમાં આવતી દુકાનોના બોર્ડ પર માલિકોના નામ લખવાનું શસ્ત્ર સૌથી વધુ અસરકારક પૂરવાર થયું છે.

કાવડિયા માટે વિશેષ માર્ગ બનાવવા એક લાખ વૃક્ષો કાપવાની જાહેરાત યોગી આદિત્યનાથે કરી ત્યારે ખૂબ વિવાદ થયો હતો. ઉત્તરપ્રદેશની સરકારે એવો ખુલાસો કર્યો હતો કે ફકત મોટા વૃક્ષો કપાશે, જયારે નવો માર્ગ બનાવવા પાછળનો મુખ્ય આશય કાવડિયાઓ ટ્રાફિકના ટેન્શન વગર પદયાત્રા કરી શકે તે હતો. ભૂતકાળમાં અનેક પદયાત્રીઓના વાહન અકસ્માતમાં મોત થઈ ચૂકયાં છે.

મુખ્યપ્રધાન યોગીએ દુકાનોનાં માલિકના નામ લખવાનું કહ્યું તેની પાછળ કાવડની પવિત્રતા જાળવવાનો ઉદેશ રહેલો હતો, પરંતુ આપણા રાજકારણીઓએ હિન્દુ-મુસ્લિમ વિવાદ ઉભો કરી દીધો.

રર જુલાઈથી ૬ ઓગસ્ટ દરમિયાન આકાર લઈ રહેલી આ કાવડ યાત્રામાં આ વખતે એક કરોડ કાવડિયા રોજ કાવડ સાથે દોડતા જોવા મળશે. કાવડનું વજન ઓછામાં ઓછું ૪૦ કિલો હોય છે. ગ્રુપમાં જતા કેટલાક કાવડિયાઓ તો સો-સો કિલો કરતાંય વધારે વજનના કાવડ લઈને આગળ વધતા હોય છે.

આખી યાત્રા દરમિયાન ભારેખમ કાવડ ખભા પર ઉંચકીને ચાલવાનું હોય છે. જૂથમાં ચાલતા શ્રદ્ધાળુઓ દર ત્રણ કિલોમીટરે કાવડ શિફટ કરતા હોય છે. ગરમી, વરસાદ, બફારો વગેરેનો સામનો કરીને અને ખભે પુષ્કળ વજન ઉંચકીને ચાલવું કેટલું કઠિન છે તે સમજી શકાય છે. આ પદયાત્રીઓની આસ્થા જ એમને આંતરિક બળ પૂરું પાડે છે.

કાવડિયા ભોલે તરીકે પણ ઓળખાય છે. કેટલાક લોકો બાધા પુરી કરવા કાવડ યાત્રા કરતા હોય છે. કાવડ શણગારેલું હોય છે અને રોજ તેની પૂજા કરવામાં આવે છે, કેમ કે પાછા ફરતી વખતે તેમાં ગંગા નદીનું પવિત્ર પાણી ભરીને લાવવાનું હોય છે. આ જળથી ત્યારબાદ પોતાના વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં અભિષેક કરવામાં આવે છે.

આ એક જ એવી ધાર્મિક પદયાત્રા એવી છે કે જેમાં જતા અને પરત આવતા એમ બંને વખતે પદયાત્રા કરવી પડે છે. વળતી વખતે તો ઉલટાનું વધારે વજન ઉંચકવું પડે છે, કેમ કે કાવડમાં જળ ભરેલું હોય છે. આ જળ છલકાઈને ખાલી ન થઈ જાય તે માટે વિશેષ તકેદારી લેવામાં આવે છે. નિયમ એવો છે કે પરત ફરતી વખતે કાવડના જે ઘડામાં પાણી ભર્યું હોય તેનો સ્પર્શ જમીનને ન થવો જોઈએ.

જયાં સુધી શિવલિંગ પર અભિષેક ન થાય ત્યાં સુધી કાવડને જમીનથી અધ્ધર રાખવું પડે છે. ધાર્મિક પદયાત્રા કરનારાઓ માટે જેમ ધજાજીનું મહત્વ છે એમ કાવડિયાઓ માટે કાવડનું મહત્વ છે. પદયાત્રા કરનારાઓ જેમ ધજાજીને ગમે ત્યાં મૂકતા નથી અને રોજ તેની પૂજા કરે છે. એવો જ શુભ વ્યવહાર કાવડ સાથે કરવામાં આવે છે. અમદાવાદથી ડાકોર કે દ્વારકા જતા શ્રદ્ધાળુઓ ના હાથમાં ધોળી ધજા જોવા મળે છે.

ભાદરવાની પૂનમે અંબાજી પદયાત્રા કરીને જઈ રહેલા શ્રદ્ધાળુઓના હાથમાં લાલ રંગના ધજાજી જોવા મળે છે. અમદાવાદથી ડાકોરના રોડ પર પદયાત્રીઓ માટે વિશેષ માર્ગ બનાવવામાં આવ્ય્‌ છે. અલબત્ત તે માંડ પાંચ કિલોમીટરનો છે અને તે ગંદકીથી ભરેલો હોય છે. ડાકોર જતા પદયાત્રીઓમાં ઉત્તરોતર ઘટાડો થઈ રહ્યો છે. જો ગુજરાત સરકાર પણ પદયાત્રીઓને વિશેષ સવલતો પુરી પાડે તો પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.