ખારીકટ આસપાસના વિસ્તારોમાંથી વરસાદી પાણીના નિકાલ માટે ૬૬ પમ્પ લગાવવામાં આવશે

શહેરમાં કુલ ૯૫ સમ્પ ઃ પમ્પ માટે રૂ.૧.૮૬ કરોડ ચૂકવાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્ય સરકારના સહયોગ થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ નું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી ભરાવવાની શકયતા રહે છે.
તેથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે કેનાલની સમાંતર સમ્પ બનાવવામાં આવ્યા છે. તેમાં વરસાદી પાણી એકત્રિત કરી તેનો ખારીકટ કેનાલ માં નિકાલ કરવામાં આવશે. જેના માટે ૬૦ કરતા વધુ સબમર્શિલ પમ્પ ભાડે લેવામાં આવશે. શહેરમાં આવા ૯૫ સમ્પ તૈયાર કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપભાઈ બગરિયા ના જણાવ્યા મુજબ ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ કામગીરીના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય તેવી શક્યતા છે. આ ઉપરાંત આ વિસ્તારના ડ્રેનેજ પંપિંગ સ્ટેશનો ની લાઈન પણ ભરાયેલી રહી શકે છે.
વરસાદી પાણી નો ઝડપથી નિકાલ કરવા માટે કેનાલ સમાંતર સમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. જે સ્થળે વરસાદી પાણી ભરાયા હશે તેને પમ્પ મારફતે સમ્પમાં ખાલી કરવામાં આવશે જ્યાંથી તેનો કેનાલમાં નિકાલ કરવામાં આવશે. આ કામ માટે એન્યુઅલ રેટ સિસ્ટમ થી ૬૬ પમ્પ લેવામાં આવશે. પરંતુ આ પમ્પનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરવામાં આવશે. આ ઉપરાંત જુના ૫૪ પમ્પ બાયબેક કરવામાં આવશે. જેના માટે કુલ ખર્ચ રૂ. ૧.૮૫ કરોડ થશે.
અમદાવાદ શહેરમાં કુલ વરસાદી પાણીના નિકાલ માટે કુલ ૯૫ સમ્પ છે. જે પૈકી ૮૮ સમ્પ ખારીકટ સમાંતર છે. જેમાં ઉતરઝોન માં ૧૧, દક્ષિણ ઝોનમાં ૪૬ તથા પૂર્વ ઝોનમાં ૩૧ સમ્પ છે.
ખારીકટ ડેવલપમેન્ટ ના કારણે ઉતરઝોન ના સમ્પ માં પમ્પ મુકવાની જરૂરિયાત રહેશે નહીં. આ ઉપરાંત મધ્યઝોનમાં સુજાતા ફ્લેટ શાહીબાગ અને ગીરધરનગર માં સમ્પ છે. જયારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં સોલા સિવિલ, યદુડી, હેબતપુરા, બાકરોલ અને મહાત્મા ગાંધી વસાહતમાં સમ્પ છે. જેનો વરસાદી પાણીના નિકાલ માટે ઉપયોગ થાય છે.