કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં લાભાર્થીઓને ૨૩૭ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

પ્રતિકાત્મક
ગાંધીનગર, રાજ્યમાં કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં નિયત કરેલાં ૧,૦૯,૧૬૬ના લક્ષ્યાંક સામે કુલ ૨,૦૭,૮૮૧ લાભાર્થીઓને ૨૩૭.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે તેમ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં જણાવ્યું હતું.
આ અંગે વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ૧૯૯૫માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં સહાયની રકમમાં વખતોવખત વધારો કરીને હાલ લાભાર્થીદીઠ રૂ. ૧૨ હજારની સહાય આપવામાં આવે છે. આ જ પ્રકારે, સાત ફેરા યોજનામાં પણ રૂ. ૧૨ હજારની સહાય ચૂકવવામાં આવે છે.
છેલ્લાં ચાર વર્ષની વિગતો આપતાં રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૬,૬૦૪ લાભાર્થીઓને રૂ. ૨૬.૬૦ કરોડ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૫,૦૬૫ લાભાર્થીઓને રૂ. ૩૭.૬૯ કરોડ,
વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૯,૫૯૨ લાભાર્થીઓને રૂ. ૬૯.૬૮ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૮૬,૬૨૦ લાભાર્થીઓને રૂ. ૧૦૩.૬૧ કરોડ એમ કુલ નિયત કરાયેલા ૧,૦૯,૧૬૬ના લક્ષ્યાંક સામે ૨,૦૭,૮૮૧ લાભાર્થીઓને ૨૩૭.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી તેમ તેમણે ઉમેર્યું હતું.