બે એટીએમ તોડવાના પ્રયાસમાં LCBએ ONGCના કર્મચારીને ઝડપી પાડયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરના એફ.એમ.અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ મશીન તૂટ્યા હતા.મધરાતે આવેલા તસ્કરે બે મશીનના ડિસ્પ્લે અને કેશ દરવાજાે તોડયા હતા.જાેકે કેશ ચોરીમાં તે નિષ્ફળ જતા નાસી છૂટ્યો હતો.
ભરૂચ એલસીબી પી.આઈ. કે.ડી. મંડોરા, પોસઈ જે.એન. ભરવાડ, એમ.એચ. વાઢેર, એન.જી. પાંચાણી સહિત ટીમે તપાસ હાથધરી હતી.
સીસીટીવી સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓ.એન.જી.સી. કોલોનીમાં હાલ રહેતા મૂળ નાંદોદના યુવાનને હસ્તગત કરી લેવાયો હતો.આરોપી જીગ્નેશ છોટુભાઈ વસાવાએ પૂછપરછમાં પોતાના માથે દેવું ચઢી ગયું હોય એટીએમ તોડવાનો પ્લાન ઘડી કાઢ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.
અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં રહેતો જીગ્નેશ કંપનીમાં જ ફરજ બજાવે છે. લોનના હપ્તા અને અન્ય નાણાકીય સંકટમાં મુકાતા તેને દેવું ઉતારવા એટીએમ તોડવાની યોજના બનાવી હતી.
હાલ બનાવ સંદર્ભે આરોપીને અંકલેશ્વર શહેર પોલીસને સોંપી સિટી પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.એલસીબીએ તેની પાસેથી ૩૦ હજાર કિંમતની એક બાઈક પણ કબ્જે કરી છે.જે બાઈકના આધારે જ તે સીસીટીવી સર્વેલન્સમાં કેદ થઈ ઝડપાઈ ગયો હોવાની માહિતી સાંપડી રહી છે.