દાનહ નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણીમાં લીનાબહેન પટેલની ભવ્ય જીત
(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલી જિલ્લાના નરોલીગ્રામ પંચાયતમાં તા.૬ ફેબ્રુઆરીના રોજ યોજાયેલ સરપંચ પદ માટેની પેટા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી, જેમાં લીનાબહેન ધર્મેશભાઈ પટેલની જીત થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલી જિલ્લાના નરોલી ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલનું અકાળે નિધન થતાં સરપંચનું પદ ખાલી હતું. જેના માટે ગત તા.૬ ફેબ્રુઆરી,૨૦૨૩ના રોજ સરપંચના પદ માટે પેટા ચૂંટણી યોજાવામાં આવી હતી.
આ પેટા ચૂંટણીની આજે મતગણતરી કરવામાં આવી હતી, શ્રીમતી લીનાબહેન ધર્મેશભાઈ પટેલની જીત થવા પામી હતી.અત્રે યાદ રહે કે, સરપંચ પદની યોજાયેલ પેટા ચૂંટણીમાં ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નરોલી ગ્રામ પંચાયતમાં કુલ ૧૨,૦૮૦ મતદારો નોંધાયેલ છે. જેમાંથી ૫,૬૪૬ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેનું પરિણામ આવતા શ્રીમતી લીનાબહેન ધર્મેશભાઈ પટેલને ૪,૪૩૩ મત મળ્યા હતા અને શ્રી કિશનભાઈ ઋષિભાઈ પટેલને ૮૩૬ મત મળ્યા હતા.
જ્યારે શ્રી જીતેન્દ્રભાઈ પ્રમોદભાઈને ફક્ત ૨૪૫ મત મળ્યા હતા અને નોટામાં ૧૩૨ મત પડ્યા હતા. શ્રીમતી લીનાબહેન ધર્મેશભાઈ પટેલને ૩૨૨૦ મતોથી ભવ્ય વિજય થયો હતો. શ્રીમતી લીનાબહેન ધર્મેશભાઈ પટેલની ભવ્ય જીત થતાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ સહિતના તમામ પદાધિકારીઓ, કાર્યકરો, ટેકેદારો અને શુભેચ્છકોએ શુભકામના પાઠવી હતી.