તળાજાના વાતાવરણમાં પલટો: આંબાના પાકને મોટાપાયે નુકસાન

File photo
ભાવનગર, તળાજા શહેર તાલુકાના વાતાવરણમાં ગઈકાલ રાત્રિથી પલટો આવ્યો હતો. સંકેલીને કબાટમાં મુકાઈ ગયેલા જરસી રાત્રી દરમિયાન મુસાફરી કરનાર અને ક્રિકેટ રમવા જનારને કાઢવા પડયા હતા. વહેલા સવારના પાંચવાગે સુસવાટા મારતા પવન ફૂંકાયો હતો.
મહારાષ્ટ્રમા ઉભા થયેલા વાતાવરણની અસર છેક ગોહિલવાડ સુધી પહોંચી છે. ચૈત્ર માસના પ્રારંભે જ અસહ્ય ગરમી પડવાના બદલે પવનની ગતિમા વધારો સાથે ઠંડી પડી રહી છે. ગતરાત્રે બોક્સ ક્રિકેટના ખેલાડીઓએ જણાવ્યું હતુ કે, રાત્રી દરમિયાન ઠંડો પવન ફૂંકાવવાના કારણે ઘરેથી ગરમ વસ્ત્રો લાવવાની ફરજ પડી હતી તો ઘરની અંદરના પંખાઓ બંધ કરવા પડ્યા હતા.
વહેલી સવારે ૫ વાગે તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી. વાડીમા અઢીસો જેટલા આંબાનો બાગાયતી પાક લેનાર ખેડૂત પ્રદીપસિંહ સરવૈયા એ જણાવ્યું હતુ કે, ભારે પવનના કારણે ખાખટી આંબા પરથી ખરી રહી છે. આ રીતે સતત પવન અને તેમાંય માવઠું થયું તો મોર, ખાખટી અને કેરીના પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે ૩૧મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, ૩૧ માર્ચે નર્મદા,તાપીમાં કમોસમી વરસાદની સંભાવના છે.
૩૧ માર્ચથી ૩ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. બીજી તરફ સિસ્ટમ સક્રિય થતાં ગરમીમાં પણ ઘટાડો થઈ શકે છે. ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં છેલ્લાં ૨૪ કલાકમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.