એવું તે શું થયું કે બાપે સગી દિકરી સામે હાઈકોર્ટમાં કેસ કર્યોઃ પિતાની FIR હાઈકોર્ટે ફગાવી

પુત્રી એક લગ્નની હકીકત છૂપાવી બીજા લગ્ન કરી રહી હોવાની પિતાની FIR હાઈકોર્ટે ફગાવી
વાહિયાત-હેરાન કરનારી ફરિયાદના આધારે અરજદારની સામે ટ્રાયલ ચલાવી શકાય નહીં: હાઈકોર્ટ
મહેસાણા, પુત્રી એન લગ્નની હકીકત છૂપાવી બીજા લગ્ન કરી રહી હોવાનો આક્ષેપ કરતી ખુદ પિતાની એફઆઈઆર હાઈકોર્ટે ફગાવી કાઢી છે અને એવું અવલોકન કર્યું છે. વાહિયાત અને હેરાન કરનારી ફરિયાદના આધારે અરજદારની સામે ટ્રાયલમાં ચલાવી શકાય નહીં.
પિતાએ ખુદની પુત્રી વિરૂદ્ધ એક લગ્નની હકીકત છુપાવીને બીજા લગ્ન કરવાની જે એફઆઈઆર કરી છે, એ અવિશ્વાસનીય જણાય છે કેમ કે એફઆઈઆરમાં એ વ્યક્તિનું નામ જ નથી જેની સાથે પુત્રીઓ પહેલાં લગ્ન કર્યા હતા. પહેલો પતિ પણ સામે આવ્યો નથી કે ન તો એણે કોઈ ફરિયાદ કરી છે. અહીં સુધી કે લગ્નની નોંધણી થઈ હોય તો રજિસ્ટ્રાર તરફથી પણ કોઈ સામે આવ્યું નથી.
માત્રને માત્ર પિતાએ જ આવા આક્ષેપો કર્યા છે. કોર્ટને એવું જણાય છે કે પુત્રીએ પિતાની મંજૂરી વિના તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોવાથી પિતાએ બદઈરાદા સાથે ફરિયાદ કરી હતી.
મહેસાણાના સતલાસણ પોલીસ સ્ટેશનમાં પિતા દ્વારા નોંધાવવવામાં આવેલી ફરિયાદને રદ કરવાની દાદ માગતા પુત્રીએ હાઈકોર્ટના ખખડાવ્યા હતા. પુત્રી તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે ફરિયાદી પિતા તરફથી કરવામાં આવેલી એફઆઈઆર કાયદાની પ્રક્રિયાના દુરૂપયોગ સિવાય બીજું કશું નથી. તેણે પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોઈ, પિતાને તે મંજૂર નહોતું.
માત્ર એટલે જ તેમણે એવી એફઆઈઆર નોંધાવી હતી કે પુત્રી અગાઉ પણ પરણેલી છે અને એ હકીકત છુપાવીને તેણે બીજા લગ્નની નોંધણી કરાવી છે. તેથી તેણે કાયદેસરનો ગુનો કર્યો છે. જો કે, આ માટેનો કોઈ પુરાવો પિતા તરફથી સામે રજૂ કર્યો નથી. પિતા તરફથી એફઆઈઆરમાં માત્રને માત્ર આક્ષેપો જ કરવામાં આવ્યા છે. આવા સંજોગોમાં બોગસ એફઆઈઆરને રદબાતલ કરવી જોઈએ.
હાઈકોર્ટે રજૂઆતોને ધ્યાનમાં લઈ એફઆઈઆર રદો કરવાનો આદેશ કર્યો છે સાથે જ નોંધ્યું છે કે, પિતા તરફથી જે આક્ષેપ કરવામાં આવ્યા છે જો એ સાચા હોય તો પુત્રીનો પહેલો તથાકથિત પતિ સામે આવ્યો નથી અને તેણે કોર્ટમાં આવીને એવું કહ્યું નથી કે તેણે ફરિયાદીની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.
લગ્નની નોંધણી કરનારા રજિસ્ટ્રાર તરફથી પણ સામે આવીને આવી કોઈ હકીકત રજૂ કરવામાં આવી નથી. આવા તબક્કે માત્ર બોગસ આક્ષેપોના આધારે કોઈની સામે ફોજદારી કાર્યવાહી કરી શકાય નહીં.