દૈનિક આહારને સંતુલિત બનાવો, ભોજનમાં કઠોળ અને શ્રીઅન્નને અપનાવો

મેદસ્વિતાના વિરુદ્ધ અભિયાન: આરોગ્યમય જીવનશૈલીની નવી ઉડાન
મેદસ્વિતા વિરુદ્ધની અસરકારક જંગ માટે સમતોલ આહાર અને વ્યાયામ મુખ્ય મંત્ર
વર્તમાન સમયમાં મેદસ્વિતા ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. પરિણામે શરીર અનેક બીમારીઓનું ઘર બને છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ‘ઓબેસિટી મુક્તિ‘ માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ એ વર્તમાન સમયની જરૂરિયાત છે. આ અભિયાનનું મહત્ત્વ સમજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત‘ની ઝૂંબેશ શરૂ કરી છે.
મેદસ્વિતાએ એવી સ્વાસ્થ્ય સ્થિતિ છે જ્યાં શરીરમાં ચરબીનો સંગ્રહ વધી જાય છે. સામાન્ય રીતે બોડી માસ ઈન્ડેક્સ ૩૦ કે તેથી વધુ (BMI) ≥ 30 હોય તો તે મોટાપાનું સૂચક છે. જેના કારણે હૃદયરોગ, ડાયાબીટીસ અને કેટલાક કેન્સર જેવા ગંભીર આરોગ્ય જોખમો વધી શકે છે.
મેદસ્વિતાનું કારણ
મેદસ્વિતા આરોગ્ય પ્રત્યેની આળસ, શારીરિક ક્રિયાશીલતાની અછત, પ્રોસેસ્ડ ખોરાકના વધુ વપરાશ અને શહેરીકરણ જેવા પરીબળોના કારણે વધ્યું છે. મેદસ્વિતાનું બીજુ મુખ્ય કારણ ખોરાકમાં લેવાયેલી કૅલરી શારીરિક પ્રવૃત્તિના અભાવે ખર્ચ થતી નથી. સ્થૂળતાના એક કારણ વધતું તણાવ, માનસિક ચિંતાઓ પણ છે. મેદસ્વિતા એક રોગ માત્ર નથી, તે ડાયાબિટીસ, હ્રદયરોગ, બ્લડ પ્રેશર, શ્વાસ લેવામાં તકલીફ, માનસિક તણાવ અને આત્મવિશ્વાસમાં ઘટાડો જેવા અનેક રોગને આમંત્રણ આપે છે.
દૈનિક આહારને સંતુલિત બનાવો, ભોજનમાં કઠોળ અને શ્રીઅન્નને અપનાવો
સંતુલિત આહાર અને પોષણની દ્રષ્ટિએ વધુ સારી ખાદ્ય ઉત્પાદનોની પસંદગીઓ સ્વસ્થ જીવન તરફ પ્રથમ પગલું છે. કાર્બોહાઇડ્રેટ્સના ખાદ્ય સ્ત્રોત તરીકે આખા અનાજ અને શ્રીઅન્નને અપનાવું પડશે. પ્રોટીન માનવ શરીરનું પાવરહાઉસ છે. પ્રોટીનના સારા સ્ત્રોત તરીકે આખા કઠોળ, દાળ અને સોયાબીન સાથે દૂધ અને દૂધના ઉત્પાદનો આહારમાં અપનાવા જોઈએ.
પ્રોસેસ્ડ ફૂડ અને પેકેજ્ડ ફૂડને ના કહી, નીરોગી શરીરને હા કહો
વ્યક્તિ દીઠ દરરોજ ઓછામાં ઓછા ૫૦૦ગ્રામ ઋતુ મુજબ ઉપલબ્ધ ફળો અને શાકભાજી ખાવા જોઈએ. વધુ ખાંડવાળા ખોરાક અને ખાદ્ય ઉત્પાદનો બને તેટલા ઓછા આરોગવા જોઈએ. વ્યક્તિ દીઠ ફક્ત 5 ગ્રામ/દિવસ મીઠું અને ઓછા તેલ સાથે જમવાનો આનંદ મેળવો.
સમતોલ આહાર અને યોગ એ સ્વસ્થ અને નિરોગી જીવનની ચાવી
હળવી ઍરોબિક પ્રવૃત્તિથી દર અઠવાડિયે ૧૫૦ મિનિટ સુધી કરવાથી નવી ઉર્જા મળશે. દિવસમાં ઓછામાં ઓછો 30 મિનિટ નિયમિત ચાલવું તથા દરરોજ યોગ કરવાથી પણ સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે.
મેદસ્વિતાને દૂર કરવાની ચળવળમાં રાજ્યના દરેક નાગરિક, પ્રત્યેક પરિવાર અને સંસ્થાઓ પોતાનું યોગદાન આપીને જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટે મોડેલ સ્ટેટ બનાવે તે જરૂરી છે.
ચાલો, સાથે મળી આ વિશ્વભરનાં પડકાર સામે એક નવો ખ્યાલ ઊભો કરીએ, મેદસ્વિતાનો મુકાબલો માત્ર દવાોથી નહિ, પણ દ્રઢ ઈચ્છાશક્તિ, શિસ્ત અને સ્વસ્થ આદતો વડે થશે. તો ચાલો આપણે સૌ સ્વસ્થ જીવન માટે એક કદમ આગળ વધીએ.
‘લાવને થોડુંક વજન ઉતારીએ,
યોગ અને પ્રાણાયમ થકી સ્વાસ્થ્ય સુધારીએ
મેંદો મેદાનથી પાર કરીને,
જાડા અનાજ ખાઇ જાડાઈને ભગાડીએ
મેદસ્વિતા ભગાડી શરીરને ઓજસ્વિતા આપીયે
લાવને થોડુંક વજન ઉતારીએ‘
ઋચા રાવલ