આણંદમાં ર૦થી વધુ દબાણો હટાવાયા
આણંદ, આણંદ શહેરની આસપાસ ખુલ્લા વિસ્તારમાં ઝુંપડપટ્ટી સહિતના દબાણો વધી રહ્યા છે. કેટલાક સ્થળોએ વર્ષોથી ગેરકાયદે અડ્ડો જમાવી દેવાયો છે જેના કારણે ગંદકી તથા અસામાજિક તત્વોનો ઉપદ્રવ વધ્યો છે જેથી ન.પા. તંત્ર દ્વારા આણંદ શહેરમાં આવેલા ૧૦૦ ફૂટ રોડથી મોટી ખોડીયાર રોડ પર આવેલા ર૦થી વધુ ઝૂંપડાના દબાણ તોડી પાડવામાં આવ્યા હતા.
આણંદ શહેરમાં વર્ષોથી ગેરકાયદે દબાણોની સમસ્યા વકરી રહી છે. શહેરની ચારે તરફ ઝૂંપડપટ્ટી વિસ્તાર વધ્યો છે અને તેના કારણે ગંદકી તથા રોગચાળાની સાથે સાથે અસામાજિક તત્વોની હેરાનગતિ પણ વધી જવા પામી છે. બીજી તરફ જિલ્લાનું મુખ્ય મથક હોવાને કારણે શહેરમાં જુદા જુદા વિસ્તાર અને માર્ગો પર ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાતી હોય છે.
શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં પણ દુકાનદારો તથા લારી અને પાથરણાંવાળાઓ પણ અડ્ડો જમાવીને બેસી જતા હોય છે. દુકાનની આગળ ઓટલા અને પગથીયા બનાવી ફુટપાથ દબાવી દેતા હોય છે તથા સામાન મુકી રાખે છે જેના કારણે રાહદારીઓને મુશ્કેલી પડે છે.
આ ઉપરાંત પા‹કગની એકીબેકી વ્યવસ્થા અને વન વે હોવા છતાં ફોરવ્હીલવાળાને કારણે ટ્રાફિકજામ થતો હોય છે શહેરના ટૂંકી ગલી તથા સ્ટેશન રોડ વિસ્તાર ઉપરાંત વેરાઈ માતા અને અમૂલ ડેરી રોડ અને શાકમાર્કેટ પાસે પણ આ જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. જોકે નગરપાલિકા તંત્ર દ્વારા અવારનવાર માત્ર નામ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવે છે.
આણંદ શહેરના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં મોટી ખોડીયર રોડ ઉપર વધી ગયેલા દબાણોની સમસ્યાને કારણે નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદે ઝુંપડપટ્ટી તોડી નાખવામાં આવી હતી. નગરપાલિકાની આવી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવેલ ઝુંપડીઓ જેમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જેસીબી સાથે ત્રાટકેલા તંત્ર દ્વારા વીસથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.