મુંબઈઃ તોડી પાડવામાં આવેલ હાઈપ્રોફાઈલ પ્રતિભા ટાવર ફરી બનશે
મુંબઈ, લગભગ ૪૦ વર્ષ પછી એક સૌથી મોટા બિલ્ડિંગ કૌભાંડે મુંબઈને હચમચાવી નાખ્યું હતું અને ત્યારબાદ આ ગેરકાયદે ગગનચુંબી ઈમારતને તોડી પાડ્યાના ત્રણ વર્ષ પછી, દક્ષિણ મુંબઈમાં બ્રિચકેન્ડીમાં સ્થિત પ્રતિભા ટાવરનું પુનઃનિર્માણ કરવામાં આવશે.
આ વિસ્તારમાં એપાર્ટમેન્ટ્સની કિંમત પ્રતિ ચોરસ ફૂટ રૂ. ૧ લાખ આસપાસ છે. ૩૬ માળનો ટાવર જે ૧૯૮૦ના દાયકામાં કુખ્યાત બન્યો હતો, તેને મુંબઈમાં ભ્રષ્ટાચારના ટાવર તરીકે ઓળખવામાં આવવા લાગ્યો હતો. જાણવા મળ્યું છે કે સોસાયટીના ૩૫ સભ્યો ( જેમાં ગાયક આશા ભોસલે સહિત) જેમણે ચાર દાયકા પહેલા બિલ્ડિંગમાં ફ્લેટ બુક કરાવ્યા હતા તેઓ હાલમાં બિલ્ડર સાથે વાતચીત કરી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે સોફિયા કોલેજની ગલીમાં લગભગ બે એકર જમીન પર નવો ટાવર બનાવવાની યોજના છે. મૂળ ફ્લેટ ખરીદનારા આ માલિકો, જેમને ક્યારેય બિલ્ડિંગમાં રહેવા મળ્યું ન હતું, દરેકને ૩,૩૦૦ સ્ક્વેર ફૂટના ફ્લેટની ઑફર કરવામાં આવી હતી, જાેકે તેઓ તેનાથી પણ મોટો વિસ્તાર ધરાવતો ફ્લેટ મેળવવા માટે વાટાઘાટ કરી રહ્યા હતા.
સોસાયટીના સેક્રેટરી જયંત વોરાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને એટલું જ કહ્યું હતું કે તમામ બાબતો હજુ પણ “પ્રારંભિક તબક્કે” છે. જાેકે KBK ડેવલપર્સના બિલ્ડર રાજેન્દ્ર કોઠારીએ તો આ મામલે મૌન સેવ્યું હતું અને આવી કોઈ ડીલમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે કેટલાક ફ્લેટ ખરીદનારાઓએ દાવો કર્યો હતો કે સોસાયટી ડેવલપર સાથે વાતચીત કરી રહી છે.
બુધવારે, કાયદાકીય પેઢી એમટી મિસ્કીટા એન્ડ કંપની દ્વારા તેના અનામી ક્લાયન્ટ વતી જાહેર નોટિસ જાહેર કરવામાં આવી હતી, જેમાં સિઆડેલ કોઓપરેટિવ સોસાયટી (અગાઉ પ્રતિભા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી તરીકે ઓળખાતી)ના ટાઇટલની તપાસ કરવામાં આવી હતી. પ્રોપર્ટી માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું કે સોસાયટી ડેવલપર સાથે સંયુક્ત વિકાસ કરાર પર હસ્તાક્ષર કરી શકે છે.
પ્રતિભા ટાવર કૌભાંડ પ્રથમ વખત ૧૯૮૪માં ચર્ચામાં આવ્યું હતું, જ્યારે મુંબઈના તત્કાલિન કલેક્ટર અરુણ ભાટિયાએ બિલ્ડિંગની મંજૂરીઓનું ઑડિટ કર્યું હતું.
તેમને એવું જાણવા મળ્યું હતું કે મૂળ બિલ્ડરે પ્લોટનો વિસ્તાર વાસ્તવિક ૭,૧૯૭ ચોરસ મીટરની સામે ૯,૨૮૨ ચોરસ મીટર કરતાં વધુ હોવાનું ખોટી રીતે જાહેર કર્યું હતું. આ ખોટા જાહેરાતથી બિલ્ડરને વધારાની ૨૭,૦૦૦ ચોરસ ફૂટ ફ્લોર સ્પેસ હસ્તગત કરવામાં મદદ મળી.SS1MS