ચાલુ બસમાં યુવકની કરપીણ હત્યા કરીને હત્યારો ફરાર
(એજન્સી)રાજકોટ, રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનો કેસ હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે. કારણ કે હત્યારો રસ્તા પર દોડી રહેલી એક ખાનગી કંપનીની સ્લીપર કોચ બસમાં જ યુવકની કરપીણ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો અને કોઈને ગંધ પણ ન આવવા દીધી.
હત્યા થઈ તેમ છતા પણ કોઈ મુસાફરને હત્યારાએ જાણ થવા દીધી નહોતી. જેના પરથી લાગી રહ્યું છે કે, હત્યારો કોઈ રીઢો ગુનેગાર હોઈ શકે છે. તો હત્યાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરતથી જામજાેધપુર જઈ રહેલી ખાનગી કંપનીની સ્લીપર કોચ બસમાં આ યુવકની હત્યા થઈ હતી. જ્યારે આ બસ ગ્રીનલેન્ડ ચોકડી પાસે પહોંચી ત્યારે યુવકની હત્યા થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. બસમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળતા મુસાફરોમાં પણ ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં જ કુવડવા પોલીસ તેમજ બી ડિવીઝન પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.