નડિયાદ ખાતે BAPS સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી નિમિત્તે પૂજ્ય શ્રી મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી આયોજિત સભામાં સહભાગી થઇ મુખ્યમંત્રી તેમજ અન્ય અગ્રણીઓએ ધર્મલાભ લીધો હતો.
અહીં સંતગણ અને હરિભક્તોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને દિવ્યતાથી ભરી દીધું હતું. આ પ્રસંગે મંદિરમાં સ્થાપિત મૂર્તિઓના દર્શન કરી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પર અભિષેકનું સૌભાગ્ય પ્રાપ્ત મુખ્યમંત્રીને થયું હતું.
અસંખ્ય ભક્તોને સદાચાર અને ભક્તિના માર્ગે લઈ જનાર ભગવાન શ્રી સ્વામિરાયણના જીવનમૂલ્યો તેમજ પ્રમુખ સ્વામી મહારાજના સેવાકીય કાર્યોને આગળ ધપાવતી BAPS સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરવાની સુંદર કામગીરી થઈ રહી છે.
મંદિરો આપણી વિરાસત છે, ભારતીય આસ્થાનું કેન્દ્ર છે. આવનારી પેઢી વિકસિત ભારતના નિર્માણમાં અગ્રીમ યોગદાન આપી, ભારતીય સત્વ અને તત્વને જાળવી રાખે તેમજ પ્રગતિનો માર્ગ કંડારે તે માટેની પ્રેરણા મંદિરો થકી કાયમ મળતી રહેશે.