Western Times News

Gujarati News

વકફ સુધારા બિલ સામે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરવાનું મુસ્લિમ લો બોર્ડનું એલાન

નવી દિલ્હી, આ અઠવાડિયે સંસદમાં વકફ સુધારા બિલ રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બિલમાં સુધારા સામે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરવાનું એલાન ધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કર્યું છે.

પ્રથમ તબક્કામાં ૨૬ માર્ચે પટણા ખાતે અને ૨૯ માર્ચે વિજયવાડા ખાતે વિધાનસભા સામે દેખાવો કરાશે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સાથે અન્ય લઘુમતી સંગઠનો અને વિપક્ષના નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે.

બોર્ડના પ્રવક્તા અને વક્ફ બિલ સામેની એક્શન કમિટીના કન્વીનર એસ.ક્યુ.આર. ઈલિયાસે કહ્યું હતું કે, અલ્લાહની મહેર વગર અને આ સંગઠનોના સમર્થન વગર દિલ્હી ખાતેના દેખાવો શક્ય ન હોતા. એક્શન કમિટીના તમામ ૩૧ સભ્યોએ આ બિલનો બંધારણીય, કાનૂની અને લોકશાહી ઢબે વિરોધ કરવાનો નિર્ધાર કર્યાે છે.

આગામી સમયમાં આ વિરોધમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરેથી ધાર્મિક-સામાજિક અગ્રણીઓ પણ ભાગ લે તેવી શક્યતા છે. બોર્ડ દ્વારા દાવો કરાયો છે કે, દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના અગ્રણીઓ તથા અનેક કર્મશીલોએ દેખાવોમાં ભાગ લેવા સંમતિ દર્શાવી છે. બોર્ડ દ્વારા વક્ફ મામલે બનેલી જેપીસીના સભ્યોને પણ દેખાવોમાં જોડાવા આમંત્રિત કર્યા છે.

વક્ફ સુધારા બિલને નુકસાનકારક અને પક્ષપાતી ગણાવતા ઈલિયાસે કહ્યું હતું કે, આ વિરોધ દ્વારા તેઓ ભાજપના સાથી પક્ષોને સ્પષ્ટ સંદેશ આપવા માગે છે.

ભાજપને આપેલું સમર્થન પરત ખેંચવા અથવા અમારું (મુસ્લિમ) સમર્થન ગુમાવવા સિવાય તેમની પાસે તેમની પાસે કોઈ વિકલ્પ નથી. દેશવ્યાપી ઝુંબેશના ભાગરૂપે હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, માલેરકોટલા (પંજાબ) અને રાંચીમાં વિશાળ રેલીઓનું આયોજન કરાયું છે.

કોંગ્રેસે વકફ (સુધારા) બિલને બંધારણ પર હુમલો ગણાવતા આક્ષેપ કર્યાે હતો કે પ્રસ્તાવિત કાયદો ભાજપના સદીઓ જૂના સામાજિક સૌહાર્દના બંધનને નુકસાન પહોંચાડવાના સતત પ્રયાસોનો એક ભાગ છે. વિપક્ષી પાર્ટીએ કહ્યું હતું કે, દુષ્પ્રચાર અને પૂર્વગ્રહ પેદા કરીને લઘુમતી સમુદાયોને બદનામ કરવાના ભાજપના પ્રયાસોનો એક ભાગ છે.

કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને ઈનચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે જણાવ્યું હતું કે વકફ (સુધારા) બિલ, ૨૦૨૪ ખૂબ જ ખામીયુક્ત છે. આ બિલનો ઉદ્દેશ્ય દરેક ધર્મના નાગરિકોને સમાન અધિકારો અને સુરક્ષાની ખાતરી આપતી બંધારણીય જોગવાઈઓને નબળી પાડવાનો છે.

રમેશે આક્ષેપ મુક્યો હતો કે, વક્ફનું સંચાલન કરવા માટે અગાઉના કાયદાઓ દ્વારા બનાવવામાં આવેલી તમામ સંસ્થાઓનું કદ, રચના અને સત્તા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી લઘુમતી સમુદાયને તેમની ધાર્મિક પરંપરાઓ અને બાબતોનું સંચાલન કરવાના અધિકારથી ઇરાદાપૂર્વક વંચિત રાખી શકાય. આ ભાજપની રણનીતિનો એક ભાગ છે.

તેમણે ઉમેર્યું હતું કે, વકફ હેતુ માટે કોણ પોતાની જમીન દાન કરી શકે છે તે નક્કી કરવા માટે ઇરાદાપૂર્વકની અસ્પષ્ટતા રજૂ કરવામાં આવી છે, જેનાથી વકફની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.