UCC અમલીકરણ અંતર્ગત નાગરિકોના સૂચનો જાણવા નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ

સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્યશ્રી ઓ બેઠકમાં ઉપસ્થિત રહી કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, સંસ્થાના વડાઓ, નાગરિકો પાસેથી વિવિધ મંતવ્યો મેળવ્યા
UCC (સમાન સિવિલ કોડ) વિષય પર નાગરીકો પોતાના મંતવ્યો-સુચનોને યુસીસીની વેબ પોર્ટલ, ઇમેલ અથવા ટપાલ મારફતે રજુ કરવા અનુરોધ કરાયો
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC)નો ડ્રાફ્ટ ત્યાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો/મંતવ્યો મેળવવાના ભાગરૂપે આજરોજ સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય શ્રી દક્ષેસ ઠાકર અને શ્રીમતી ગીતાબેન શ્રોફની ઉપસ્થિતીમાં નવસારી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ , નવસારી સરકારી કોલેજના આચાર્યશ્રીઓ, સંસ્થાના વડાઓ, કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, નાગરિકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં સમાન સિવિલ કોડના ઉપસ્થિત સભ્યશ્રીઓએ નવસારી જિલ્લાના કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, સંસ્થાના વડાઓ, વિવિધ સમાજના આગેવાનો,નાગરિકો પાસેથી સમાજમાં ચાલી રહેલા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રિલેશનશિપ ની નોધણી બાબતે વિવિધ મંતવ્યો મેળવ્યા હતા.
આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે, સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.૨૪/૦૩/૨૦૨૫ના રોજ અથવા તે પહેલાં ઈ-મેલ ([email protected]) અથવા વેબ-પોર્ટલ (https://uccgujarat.in) અથવા ટપાલ (સરનામું – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં. ૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત – ૩૮૨૦૧૦) દ્વારા તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો રજૂ કરવા અપીલ કરી છે.
નોધનિય છે કે,ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે માનનીય ન્યાયમૂર્તિ (નિવૃત) રંજનાબેન પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમાન સિવિલ કોડ સમિતિની રચના કરી છે. જે સમિતિમાં શ્રી સી. એલ. મીના આઈ.એ.એસ. (નિવૃત્ત), શ્રી આર.સી.કોડેકર વરિષ્ઠ એડવોકેટ, શ્રી દક્ષેસ ઠાકર પૂર્વ વાઈસ ચાન્સેલર (VNSGU) અને સુશ્રી ગીતાબેન શ્રોફ સામાજિક કાર્યકર સભ્યો છે.
આ સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરવામાં આવી રહી છે. મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સુચવશે. જેમાં સમિતિ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રિલેશનશિપ વિષયોના સમાવેશ કરવા બાબતે વિચારણા કરાશે.