Western Times News

Gujarati News

કોરોનાથી ૧૦ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ૨૪ કલાકમાં એક પણ મોત નહીં

નવીદિલ્હી, ભારતમાં કોરોના સામે રિકવરી રેટ સુધરીને ૯૭.૨ ટકા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ અત્યાર સુધીમાં ૫૦ લાખની આસપાસ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. નોંધનીય છે કે, ૧૦ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ૨૪ કલાકમાં એક પણ મોત નથી થયું. આ ઉપરાંત ૪ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પણ કેસ નોંધાયો નથી.

દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪૯,૫૯,૪૪૫ લોકોને કોવિડ વેક્સીનઆપવામાં આવી ચૂકી છે. બીજી તરફ,કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૪૦૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૨૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૮,૦૨,૫૯૧ થઈ ગઈ છે.

નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૪ લાખ ૯૬ હજાર ૩૦૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૫,૮૫૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૫૧,૪૬૦ એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ ૯૭ ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૮૨૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૪ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૯,૯૯,૩૧,૭૯૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના ૨૪ કલાકમાં માત્ર ૭,૧૫,૭૭૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭૫ કેસ નોંધાયા છે. જેની સામે ૪૩૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૩૯૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૨૬ ટકા છે. રાજયમાં આજે ૩૩,૬૪૨ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૪,૫૩,૧૬૧ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં ૧ મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં ૧૪૩, સુરતમાં ૫૧, વડોદરામાં ૭૯, રાજકોટમાં ૩૩, આણંદમાં ૧૬, બનાસકાંઠામાં ૧૪, ભરૂચમાં ૧૦, ખેડામાં ૯ સહિત કુલ ૪૩૦ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

ગુજરાતમાં અત્યારે કુલ ૨૮૦૦ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૨૭ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૨૭૭૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨,૫૫,૪૮૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.