Western Times News

Gujarati News

મહિલાના આંતરડામાંથી સિવિલના તબીબોએ ત્રણ સોય કાઢી 

જમ્મુ કાશ્મીરથી લઈને મધ્ય પ્રદેશ સુધીના ડોક્ટરો પણ તેમની સારવાર ન કરી શકતા મહિલા અમદાવાદ આવી 

જમ્મુ કાશ્મીરથી મધ્યપ્રદેશ થઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભણી દોટ માંડી : સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ વતન પરત ફર્યા

અફલાકબાનું જીવનનિર્વાહ કરવા વિવધ પ્રવૃતિઓ કરે છે….તેઓને ગાલીચા(કાલીન) બનાવવાનો અનેરો શોખ.. વિવિધ પ્રકારના આકર્ષક ગાલીચા બનાવીને તેઓ ઘણાંય લોકોની પ્રશંસાના પાત્ર બન્યા છે… પરંતુ…..એક દિવસ બનેલી આકસ્મિક ઘટનાએ અફલાકબાનુંની જીંદગીને જીવન અને મૃત્યુના તૂમૂલ જંગ વચ્ચે લાવીને મૂકી દીધા હતા…

મૂળ જમ્મુ કાશમીરની 25 વર્ષીય અફલાકબાનું એક દિવસ શારિરીક અશક્તિ અનુભવી રહી હતી‌. પરંતુ ગમતી વસ્તુનો શોખ વળી કેવા પ્રકારનો થાક અનુભવવા દે ? ગાલીચા બનાવવાના શોખના કારણે તેઓ શારીરીક નબળાઈઓને અવગણીને કામ કરતા રહ્યાં…પરંતુ એકાએક એ જ દિવસે ગાલીચા બનાવતા- બનાવતા અફલાકબાનું ઢડી પડ્યા…આ દરમિયાન અફલાકબાનુના પેટના ભાગમાં તથા છાતીના જમણી બાજુના ભાગે આકસ્મિક ત્રણ સોય ઘૂસી ગઇ. જે પેટના અંદરના ભાગમાં થઇ આંતરડા સુધી પહોંચી..ત્યારબાદ શરૂ થયો જીંદગી અને મોત વચ્ચેનો તૂમૂલ જંગ…

પેટમાં આકસ્મિક સોય ઘૂસી જતા અફલાકબાનુંના પરિવારજનો ચિંતાતુર બન્યા.. ત્યાંની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા બાદ તેઓ મધ્યપ્રદેશ જિલ્લાના મંદસોર શહેરની વિવિધ હોસ્પિટલમાં સારવાર કરાવી..આ દરમિયાન તેઓએ એક્સ-રે , સી.ટી. સ્કેન જેવા વિવિધ રીપોર્ટસ કરાવ્યા…રીપોર્ટમાં તબીબોને સમસ્યા અત્યંત જટીલ લાગતા અફલાકબાનુંના પરિવારજનોને તરત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવા કહ્યું.

વિવિધ હોસ્પિટલમાં મળેલી નિરાશાથી સમગ્ર પરિવાર વધુ ચિંતીત બન્યો હતો…તેવામાં  આ તમામ નિરાશાઓને નેવે મૂકીને પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આશાના તોરણો બાંધી સારવાર અર્થે આવી પહોંચ્યા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબો પાસે સારવાર માટે પહોંચ્યા ત્યારે તબીબોએ ફરી વખત સી.ટી. સ્કેન કરાવ્યો. આ સી.ટી. સ્કેનમાં જે દેખાયુ તેણે સિવિલ હોસ્પિટલના તબીબોને પણ સ્તબ્ધ કરી મૂક્યા હતા..

દર્દીના પેટના ભાગમાં આંતરડા પાસે 3 સોય જોવા મળી .. આ સોયનું આંતરડા પાસે હોવું દર્દીના આંતરડાને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેમ હતુ. દર્દી સેપ્ટીક સોક અવસ્થામાં પહોંચીને મૃત્યુ પામી શકે તેવી સ્થિતિ સર્જાવવાની સંભાવનાઓ પ્રબળ રહેલી  હતી.

આવા પ્રકારની સર્જરીમાં ગહન અભ્યાસ, નિપુણતા અને તકનીકી મશીનરીની ખુબ જ આવશ્યકતા હતી. જેથી ગેસ્ટ્રો સર્જરી વિભાગના સિનિયર તબીબોએ એનેસ્થેસિયા વિભાગના તબીબોના સહયોગથી અફલાકબાનુંની જોખમી સર્જરી સરળ અને સફળતાપૂર્વક પાર પાડવા બીડૂ ઉપાડ્યુ.

ગેસ્ટ્રો સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબો ડૉ. પ્રશાંત મહેતા ,ડૉ. વિક્રમ મહેતા અને તેમની સમગ્ર ટીમ અને એનેસ્થેસિયા વિભાગના તબીબ ડૉ. દિક્ષિતા ત્રિપાઠી દ્વારા આ કેસનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો. આ સર્જરીમાં સોયના સ્થાનની મુખ્ય સચોટતા ચકાસવાની ખાસ જરૂર હતી….પેટના આંતરડાના ભાગમાં ચોક્કસપણે કયા સ્થાન પર સોય રહેલી છે તે જાણવું અત્યંત જરૂર બની રહ્યુ હતુ.

જે માટે IITV (Image Intensifier system) ની મદદથી તબીબોએ સોયનું ચોક્કસ સ્થાન શોધી કાઢ્યુ.. ત્યારબાદ અફલાકબાનુંને આ સમસ્યમાંથી ઉગારવા માટે તમામ જહેમત હાથ ધરાઇ . 2 કલાકથી પણ વધુ સમય ચાલેલી સર્જરીના અંતે દર્દીના પેટમાંથી અણીદાર ખૂબ જ પાતળી 2 સોય તથા જમણી બાજુ છાતીના ભાંગમાંથી 1 સોય શરીરના અન્ય અવયવને ઇજા ન પહોંચે તેવી રીતે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી.

સર્જરી બાદ અફલાકબાનુને થોડા સમય તબીબી દેખરેખ હેઠળ રાખ્યા બાદ રજા આપવામાં આવી છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને પીડામૂકત થઇને પોતાના વતન પરત ફર્યા છે.

ગેસ્ટ્રો સર્જરી વિભાગના ડૉ. વિક્રમ મહેતા કહે છે કે “અત્યાર સુધી શરીરના હાથ અને પગના ભાગ કે અન્ય બાહ્ય ભાગમાં સોય ખૂંચી હોય અથવા ધૂસી ગઇ હોય તેવા પ્રકારના કિસ્સા અમારી સમક્ષ આવ્યા હતા.

પરંતુ આંતરડાના ભાગમાં સોય પહોંચી હોય તે અમારા માટે પણ પ્રથમ કિસ્સો હતો. સોયનું કદ અત્યંત નાનુ હોવાથી શરીરમાં સોયનું સ્થાન જાણવું ખૂબ જ પડકારજનક બની ગયું હતુ. આવામાં સિવિલ હોસ્પિટલની સુપ્રીન્ટેન્ડેટ ડૉ. જે.વી. મોદીને IITVની માંગ કરતા વિના વિલંબે તેઓએ સમગ્ર વ્યવસ્થા કરી આપી. જેના કારણે આ સર્જરી સરળતાથી સફળતાપૂર્વક પાર પાડી શક્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.