Western Times News

Gujarati News

નાના વેપારીઓ તેમજ ફેરિયાઓની હાલત કફોડી

અમદાવાદ, ગુજરાતમાં ફુલ લૉકડાઉનની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ૩૬ શહેરોમાં નાઈટ કર્ફ્‌યૂ સહિતના આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. રાજ્યમાં સત્તાવાર રીતે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં નથી આવ્યું છતા લગભગ મોટાભાગની દુકાનો કે ધંધા-રોજગાર કોરોનાને કારણે બંધ કરવાની ફરજ પડી છે.

આ પરિસ્થિતિમાં વ્યવસાય કરતા લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તેમાં પણ નાના વેપારીઓ અને ફેરિયાઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. આ લોકોને રાહત મળે તે માટે સ્વૈચ્છિક સંગઠનોએ મુખ્યમંત્રી વિજય રુપાણીને લેખિત રજૂઆત કરીને યોગ્ય પગલા લેવાની માંગ કરી છે.

વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયંત્રણોને કારણે લોકોના વેપાર ધંધા પ્રભાવિત થઈ રહ્યા છે. અત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાંથી કારણ વિના બહાર નીકળવાનું ટાળે છે.

આ સ્થિતિમાં નાના પાયે ધંધો કરનારા, ફેરિયા વર્ગને ગુજરાન ચલાવવામાં ફાંફા પડી રહ્યા છે. સમાજનો એક મોટો વર્ગ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. જાે આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલશે ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે સ્વૈચ્છિક લૉકડાઉન કરવું હોય તો સરકારે નાના વેપારીઓ, ફેરિયાઓ તેમજ રોજનું કમાઈને ખાતા લોકોને આર્થિક સહાય આપવી જાેઈએ. રાશનની સાથે સાથે તેમને આર્થિક સહાય મળે તે જરૂરી છે.

આટલું જ નહીં, સરકાર ઈચ્છે તો સરકારી હોસ્પિટલો અથવા કોવિડ સેન્ટરોમાં આ લોકોની ભરતી કરીને રોજગારીનો વિકલ્પ ઉભો કરી શકે છે. આ સિવાય રાજ્ય સરકાર નાના વેપારીઓ તેમજ ફેરિયાઓ વગેરેના બાળકોની શાળાની ફી માફ કરવી, મા કાર્ડ ન હોય તો તાત્કાલિક પૂરા પાડવા, વગેરે જેવા કાર્યો કરીને પણ તેમને રાહત આપી શકે છે.

આ સિવાય ઘણાં ફેરિયાઓ ભાડાના મકાનમાં રહેતા હોય છે. અત્યારે કામ બંધ હોવાને કારણે તેમના માટે ઘરનું ભાડું ચૂકવવું પણ મુશ્કેલ છે. સરકાર તેમને આ રીતે પણ મદદ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.