Western Times News

Gujarati News

એક તરફ થેલેસેમિયાગ્રસ્ત કિંજલબહેનને લોહી ચડાવાતું, બીજી તરફ તેઓ બાળકીને સ્તનપાન કરાવતા

૮ મે,૨૦૨૧ – થેલેસેમિયા ડૅ -૯ મે, ૨૦૨૧ – મધર્સ ડૅ

કિંજલબહેને જીવનું જોખમ હોવા છતા વિધાતા સામે બાથ ભીડી અને સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો

માતૃત્વ આડેના તમામ અંતરાય અડગ મનોબળથી પાર કરનારા કિંજલબહેનની બાળકી ૨ વર્ષની થઈ પણ ગઈ!

કોરોના કાળમાં થેલેસેમિયા મેનેજમેન્ટનું ગુજરાત મોડલે દેશમાં સરાહનીય બન્યું

૮ મે- થેલેસેમિયા ડે . ૯ મે- મધર્સ ડે. આ બે દિવસો વારાફરતી આવે છે, પણ તેને જોડતી એક કડી એટલે કિંજલબહેન.  કિંજલબહેન થેલેસેમિયાગ્રસ્ત છે. તે જાણતા હતા તેમની ખોળાના ખુંદનારની ઝંખના જીવનું જોખમ ઉભી કરી શકે તેમ છે. છતાં તેમણે આ જોખમ ઉઠાવ્યું. અને તેમને વિશ્વની કોઈ પણ સ્ત્રી માટેનું પરમ સુખ ગણાતું એવું માતૃત્વનું સુખ મેળવ્યું. તો બે દિવસો ( ૮ મે અને ૯ મે)ની એક કડી સમાન કિંજલબહેનની પ્રેમ, હિંમત,સંઘર્ષભરી કથામાં પ્રવેશીએ.

ગુજરાતી ભાષાના અમર કવિ દુલા ભાયા કાગ બાપુએ માતૃત્વનો મહિમા વર્ણવતા અમર શબ્દોમાં કહ્યું છે કે…. પંડમાં પીડ ઘણી,સાંતીને હસતી સદા; માયા માત તણી,કેમ વીસરીએ કાગડા ?

જમ જડાફા‌ ખાય,મોતે નાળ્યું માંડીયું;છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ? ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે; છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં; તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા ! ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે; મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા !

ગુજરાતી ભાષાના અમર કવિ સ્વ. દુલા ભાયા કાગની એક રચનાની ઉપરોક્ત પંક્તિઓ “મા” શબ્દનો અર્થ કેટલો વ્યાપક અને ઊંડાણભર્યો છે તે વિશે થોડામાં ઘણું કહી જાય છે. માતૃત્વ તો સુંદર છે જ, પણ એનાથી પણ સુંદર છે માતાનો તેના સંતાન પ્રત્યેનો પ્રેમ… પોતાનો જીવ જોખમ છે તેવું જાણતી હોવા છતાં પોતાનું અસ્તિત્વ જોખમમાં મૂકીને પણ એક નવા જીવને જન્મ આપે તેનું નામ જ માં… સમગ્ર દુનિયા શનિવારે તા. ૮ મે, ૨૦૨૧ ના દિવસે વર્લ્ડ થેલેસેમિયા ડૅ ઉજવી રહી છે અને ૯ મે, ૨૦૨૧ ના દિવસે મધર્સ ડૅ ઉજવશે ત્યારે આ બંને વૈશ્વિક દિનના મહિમાને ઉજાગર કરે તેવો ગુજરાતની એક એવી મહિલાનો કિસ્સો સામે આવ્યો છે.

કિંજલબહેન ગુજરાતની પ્રથમ સંભવિત એવી થેલેસેમિયાગ્રસ્ત બહેન છે કે જેમને આ જન્મજાત વ્યાધિ હોવા છતાં વિધાતા સામે હામ ભીડી અને પોતાની જીવલેણ પરિસ્થિતિ જાણતા હોવા છતાં ગર્ભધારણ કર્યો. અને સ્વસ્થ બાળકીને જન્મ આપીને જ રહ્યાં. આજે માતા અને પુત્રી બંને અત્યંત સ્વસ્થ જીવન જીવે છે. કિંજલબહેનનું વ્યક્તિત્વ આ બંને દિવસના સંદર્ભમાં અનેક માટે પ્રેરણાનું પ્રતીક બન્યું છે અને આગળ પણ બનતુ રહેશે.

કિંજલબહેન જન્મથી જ થેલેસેમિયાગ્રસ્ત હતા. તેથી તેમના લગ્નમાં ઘણી અડચણો આવી. સદભાગ્યે તેમને નવિનભાઈ જેવો સમજદાર જીવનસાથી મળ્યો. મુલાકાત બાદ કિંજલબહેને   નવિનભાઈને બિમારી વિશે સત્ય જણાવ્યું પણ નવિનભાઈનો કિંજલબહેન સાથે જ લગ્ન કરવાનો અને હંમેશા કિંજલબહેનના જ થઇને રહેવાનો નિર્ણય અફર રહ્યો. પાંચ વર્ષ સુધી બંનેએ પોતપોતાના પરિવારને મનાવ્યા અને ૨૦૧૭માં બંનેએ ધામધૂમથી લગ્ન કર્યાં.

થેલેસેમિયાગ્રસ્ત કિંજલબહેને દવાઓ લઇને માતૃત્વ માટે શરીર તૈયાર કર્યું

લગ્ન બાદ પતિ નવિનભાઈએ કિંજલબહેનના જીવને બચાવવા માટે બાળક દત્તક લેવાની તૈયારી દર્શાવી, પણ આ વાત કિંજલબહેનને મંજૂર નહોતી. તેમને પોતાના સંતાનને જન્મ આપવો હતો. આખરે કિંજલબહેનની સમજાવટ બાદ નવિનભાઈ તૈયાર થયા. કિંજલબહેને દવાઓ લઇને શરીર માતૃત્વ માટે તૈયાર કર્યું.

આ ઘટના એટલા માટે મહત્વની છે કારણકે થેલેસેમિયાના કોઇ પણ દર્દીના શરીરમાં હંમેશા લોહીની ઉણપ રહે છે, તેથી તેમને દર થોડા દિવસના અંતરે કોઇ ને કોઇ દાતાનું લોહી ચડાવવું પડતું હોય છે. આવી કઠિન પરિસ્થિતિમાં પણ કિંજલબહેને ગર્ભધારણ કરી માતૃત્વશક્તિની ભાવનાને ચાર ચાંદ લગાવ્યાં. એટલું જ નહીં પોતાના અડગ મનોબળ સાથે સ્વસ્થ બાળકી નવ્યાને પણ જન્મ આપ્યો.

એક તરફ કિંજલબહેનને લોહી ચડતું, એ જ વખતે જોડેજોડે દિકરીને સ્તનપાન કરાવતા

એક સંતાનને ઉછેરવામાં એક માતાને જે તકલીફ પડે તે બધી જ તકલીફો કિંજલબહેનને પણ પડી, પણ અહીં વાત અલગ છે કેમકે કિંજલબહેનને થેલેસેમિયા જેવી ગંભીર સમસ્યા પણ હતી. સતત દવાઓ અને સમયાંતરે લોહી ચડાવવા માટે જેવા પડકારોનો સામનો કરીને કિંજલબહેને પોતાની દિકરીને જન્મ આપ્યો. ઘણી વખત તો એવું થતું કે કિંજલબહેન લોહી મેળવવા માટે પોતાની નાની નવ્યાને જોડે લઇને હોસ્પિટલ જતાં જ્યાં એક તરફ કિંજલબહેનને લોહી ચડતું હોય અને બીજી તરફ કિંજલબહેન નવ્યાને જોડેજોડે પેટ ભરાવીને માતા તરીકેની ફરજ પણ સમાંતરે  નિભાવતા!

કોરોનાની મહામારીમાં પણ સરકારની મદદથી કિંજલબહેનને લોહી ચડાવવાની સુવિધા મળી રહી, જેનાથી આ મહામારીના સમયમાં પણ કિંજલબહેનને બહુ તકલીફ ન પડી. આ બધી મુશ્કેલી કિંજલબહેને પાર કરી અને હવે તેમાંથી બહાર પણ આવી ગયા છે. હવે નવ્યા બે વર્ષની થઈ ગઈ છે અને સંપૂર્ણ સ્વસ્થ છે.

કોરોના કાળમાં ગુજરાત સરકારે થેલેસેમિયા દર્દીઓ માટે કરેલી મદદ કાબિલેદાદ : ડૉ. અનિલ ખત્રી

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની થેલેસેમિયા કમિટિના ચેરમેન અને થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અનિલ ખત્રી કહે  છે કે, કોરોના મહામારીની શરૂઆતથી જ ગુજરાતમાં થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓની તકલીફો શરૂ થઈ ગઈ હતી પણ ખાસ કરીને અમદાવાદમાં આ દર્દીઓ માટે ખુબ જ સુંદર આયોજન કરાયુ હતું.

થેલેસેમિયાના દર્દીઓ માટે સૌથી મહત્વનું લોહી હોય છે. ગુજરાત સરકારની મદદથી ખુબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે.  સરકારે દરેક બ્લડ બેન્કને વાહનો ફાળવ્યાં જેનાથી રક્તદાતાઓને ઘરેથી લાવવા અને મૂકી જવાનું અને લોહી મેળવવાનું કામ નિર્વિઘ્ને અને સમયસર થવા લાગ્યુંછે . ગામડાઓમાં પણ રેડક્રોસ અને સરકારના વાહનોની મદદથી દર્દીને લાવવા અને મૂકી જવાની સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી.

થેલેસેમિયાની ખુબ મોંઘી દવા સિવિલ હોસ્પિટલ્સમાં સરકાર વિનામૂલ્યે આપે છે

એક તરફ કોરોનામાં સરકારની તમામ હોસ્પિટલ્સ વ્યસ્ત હતી. બીજી બાજુ થેલેસેમિયા દર્દી માટે પણ કોવિડઝોનમાં જવું જોખમી હતું, તેથી થેલેસેમિયાના દર્દીઓનો જીવ જોખમમાં ન મુકાય તે માટે શરૂઆતથી જ સરકારે ખુબ મોટી મદદ કરી. એક સુંદર વ્યવસ્થા એવી ગોઠવાઇ જેમાં સરકારે આખા ગુજરાતમાં દરેક સિવિલ હોસ્પિટલથી થેલેસેમિયાની દવા લઇને રેડક્રોસની બ્રાન્ચ ઉપર મૂકી અને એ રીતે થેલેસેમિયાના દર્દી બાળકોને વિના વિઘ્ને અને કોવિડ ઝોનમાં ગયા વગર જ જીવનજરૂરી દવા ઉપલબ્ધ થઈ અને સિવિલના ડોક્ટર્સ ઉપરનો બોજ પણ ઓછો  થયો છે, એમ ડૉ. અનિલ ખત્રીએ ઉમેર્યું હતું.

થેલેસેમિયા મેનેજમેન્ટનું ગુજરાત મોડલે દેશમાં સરાહનીય બન્યું

કોરોના મહામારીમાં પણ ગુજરાત સરકારે પ્રિ નેટલ ડાયગ્નોસિસમાં ગર્ભવતી મહિલાનું બાળક થેલેસેમિયા  મેજર છે કે નોર્મલ છે તે જાણવામાં કોઇ કસર રહેવા દીધી નથી. થેલેસેમિયા મેનેજમેન્ટની દરેક બાબતમાં ગુજરાત સરકારે ખુબ જ સપોર્ટ આપ્યો છે. ગુજરાત જેવી વ્યવસ્થા દેશના બીજા રાજ્યોમાં પણ ગોઠવાઈ રહી છે, એમ ડૉ. અનિલ ખત્રીએ ઉમેર્યું હતું. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.