Western Times News

Gujarati News

પ્રેમિકાની હત્યાના આરોપીએ સિહોર જેલમાં આપઘાત કર્યો

Files Photo

ભોપાલ: ઈન્દોર-બિલાસપુર નર્મદા એક્સપ્રેસ ટ્રેનમાં ૬ દિવસ પહેલા પોતાની પ્રેમિકાનું ગળું કાપીને હત્યા કરવાના આરોપી અને ભોપાલના રહેવાસી સાગર સોનીએ સિહોર જેલમાં આપઘાત કરી લીધો છે. આ ઘટના બાદ જેલમાં હડકંપ મચી ગયો છે. આ સાથે જેલની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે કેદીએ આટલું મોટું પગલું કેવી રીતે ભર્યું છે?
પ્રાપ્ત વિગતો મુજબ જેલમાં બંધ સાગર સોનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા બાદ મૃતેદેહને હોસ્પિટલ ખસેડીને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. બનાવની જાણ થતાં જ એસપી જેલ અધિક્ષક સહિતના પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પહેલી જૂનના રોજ રાત્રે મૃતક સાગર સોનીએ ઈન્દોર-બિલાસપુર નર્મદા એક્સપ્રેસમાં પોતાની પ્રેમિકા મુસ્કાન હાડાનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી સાગર સોનીની પોલીસે ધરપકડ કરી હતી અને સિહોર જેલમાં મોકલી દીધો હતો. હવે ઘટનાના ૬ દિવસ બાદ સાગર સોનીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધો.

જેલમાં હાજર અધિકારીએ આ જાેઈ જતાં તાત્કાલિક અન્ય જેલ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ આરોપીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ સિહોર એસપી પણ તપાસ માટે જિલ્લા જેલ પહોંચ્યા છે. તેમણે જેલમાં તૈનાત અધિકારીઓ પાસેથી આ ઘટનાની સંપૂર્ણ માહિતી લીધી છે. આ સાથે જ બેદરકારી દાખવનારા સામે કાર્યવાહીની ખાતરી પણ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.