Western Times News

Gujarati News

૭૨માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી ખોખરા હનુમાન મંદિર (રંગપર-બેલા) ખાતે કરાઇ

મોરબી,  તા.૧૪/૦૮/૨૦૨૧ના રોજ શનિવારે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શ્રી ખોખરા હનુમાનજી ધામ, બેલા-રંગપર, મોરબી ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સવારે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે,  ઇ.સ. ૧૯૫૦માં કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવ ઉજવણીની જાહેરાત કરી હતી. તેમજ જયારે કેન્દ્ર સરકારમાં પર્યાવરણ ખાતુ નવુ શરૂ કરવામાં આવ્યું

ત્યારે તેને પ્રથમ મંત્રી તરીકે વાંકાનેર  રાજવી પરીવારના દિગવિજયસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ હલાવી નાખી ત્યારે આપણે બધાને વૃક્ષોનું મહત્વ સમજાયું હશે. ગુજરાત ગ્રીન બને અને રણીયામણું બને એ માટે રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.

આ તકે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતુ કે, કલાયમેન્ટ ચેન્જ થવાનું મુખ્ય કારણ વૃક્ષોની જાળવણી ઓછી થવાથી થાય છે. વૃક્ષોમાં જીવ છે તે વાત સંપૂર્ણ સત્ય છે. પહેલો વનમહોત્સવ અંબાજી ખાતે ઉજવામાં આવ્યો હતો. રાજય સરકાર પ્રયત્ન તો કરે જ છે પણ આપણે પણ આપણા ઘરના ફળીયામાં ખેતરમાં વૃક્ષો વાવા જોઇએ.

મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજાએ  કહ્યું હતુ કે, ભારતીયઓની સંસ્કૃતિ છે કે છોડમાં રણછોડ વસે છે.  માનવીએ કુદરતી સંપતિનું રક્ષણ અને જતન કરવું જોઇએ.  આપણા ભારતીય વૈજ્ઞાનિક જગદિશચંદ્ર બોઝે કહયું હતું કે વનસ્પતિમાં પણ જીવ છે. આપણે માનવીના અસ્તિત્વ સાથે વૃક્ષોના અસ્તિત્વની પણ જાળવણી કરવી જોઇએ.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરાએ જણાવ્યું હતુ કે, આપણે કોરોનાને જોયેલો અને અનુભવેલો છે તેથી આપણને વૃક્ષોના મહત્વ વિશે વધારે જાણકારી હશે. રામપરા  વન ખાતે સિંહોના જિનેટીંક સંશોધન પણ કરવામાં આવે છે.

આ તકે પરમ પૂજય કનકેશ્વરીદેવીએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે આપણુ શરીર પાંચ તત્વોનું બનેલુ છે તેથી આપણે દરેકે પાંચ વૃક્ષો વાવા જોઇએ.વૃક્ષો વગર અસ્તિત્વ શકય નથી. જીવશૃષ્ટીના અસ્તિત્વ સાથે વૃક્ષોનું પણ અસ્તિત્વ જોડાયેલું છે.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ અમીન અને કાર્યક્રમના અંતે આભારવિધિ હળવદ આર.એફ.ઓ.શ્રી પી.જે. જાડેજાએ કરી હતી.

આ કાર્યક્રમમાં રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી ધમેન્‍દ્રસિંહ જાડેજા, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, મોરબી ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા હળવદ ધારાસભ્યશ્રી પરસોતમભાઇ સાબરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, કલેકટર શ્રી જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડાશ્રી એસ.આર ઓડેદરા, નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ અમીન, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, અગ્રણી સર્વેશ્રી જયોતિસિંહ જાડેજા, કેશરીસિંહજી, અજયભાઇ લોરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.