પુત્રના કફન માટે ઊધાર પૈસા ન ચુકવી શકતા પિતાની આત્મહત્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/dead.jpeg)
મુંબઈ, ભલે દેશની આઝાદીને ૭૫ વર્ષ થઈ ગયા હોય પણ બે ટંક ખાવા માટે ફાંફા પડતા હોય તેવી ગરીબી આજે પણ દેશમાં યથાવત છે. મહારાષ્ટ્રના પાલઘરમાં દેશનુ માથુ શરમથી ઝુકી જાય તેવી ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે પાલઘર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કાલુ પવાર નામના વ્યક્તિના ૧૪ વર્ષના પુત્રનું પહાડ પરથી પડી જવાથી ગયા વર્ષે મોત થયુ હતુ. તે વખતે કાલુ પાસે એટલા પણ પૈસા નહોતા કે તે દીકરા માટે કફન ખરીદી શકે.
આ માટે તેણે ગામના રામદાસ કોરદે પાસે ૫૦૦ રૂપિયા ઉધાર લીધા હતા. એ પછી રાત દિવસ તે મહેનત કરતો કરતો રહ્યો હતો પણ કફન માટે ઉધાર લીધેલા પૈસા તે પાછો આપી શક્યો નહતો.પૈસા ઉધાર આપનાર રામદાસે કાલુને તેના ઘરમાં મજૂરી કરવાની ફરજ પાડી હતી.કાલુની પત્નીનો આરોપ છે કે, મજૂરીના નામે રામદાસ દ્વારા મારા પતિનુ શોષણ કરાતુ હતુ અને તેના પર અત્યાચાર કરાતો હતો.
પત્નીના કહેવા પ્રમાણે જેનાથી કંટાળીને ૧૩ જુલાઈએ મારા પતિએ ગળેફાંસો ખાઈને આત્મ હત્યા કરી હતી. ન્યાય માટે હું પોલીસ મથકના ચક્કર કાપતી રહી હતી પણ કોઈએ મારી મદદ કરી નહોતી. હવે સોશિયલ મીડિયા પર આ ઘટના વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધીને આરોપી રામદાસની ધરપકડ કરી હતી. જાેકે હાલમાં તો તે જામીન પર છુટી ગયો છે.SSS