મોદીના જન્મદિને ૭૧૦૦ રામમંદિરમાં રામધૂન કરાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Modi.jpg)
કેવડિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિવસે ગુજરાતમાં ૭૧૦૦ રામ મંદિરોમાં આરતી અને રામધૂન થશે અને ૭૧ બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરાવવામાં આવશે. ભાજપ દ્વારા કારોબારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત પુસ્તકો અને વડાપ્રધાન દ્વારા લખવામાં આવેલા પુસ્તકોનું એક પ્રદર્શન પણ યોજવામાં આવશે.
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના કહેવા પ્રમાણે ગુજરાતના લાડલા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિવસના ઉપલક્ષ્યમાં ૧૭ સપ્ટેમ્બરના રોજ ૭૧૦૦ ગામોમાં રામજી મંદિરોમાં આરતી અને રામધૂન કરવામાં આવશે.
આ દિવસે ભાજપ જરૂરિયાત ધરાવતા ૭૧ બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરાવશે. ગુજરાતના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, ધર્મ, અર્થતંત્ર, ઉદ્યોગ અને વેપાર, બંધારણ, નાગરિક અધિકાર, માનવ અધિકાર, મહિલા જાગૃતિ, યુવા જાગરણ, સ્વદેશી આર્ત્મનિભરતા, વૈશ્વિક સમસ્યાઓ, પર્યાવરણ સંરક્ષણ, પ્રકૃતિ પ્રેમ, પ્રાણીઓ પ્રત્યે કરૂણા અને ગ્લોબલ વોર્મિંગ જેવા વિષયો પર પણ લખતા-બોલતા રહે છે.
વડાપ્રધાન મોદી અંગે ગુજરાતમાં અને દેશમાં અનેક ડઝન પુસ્તકો લખવા અને પ્રકાશિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ અનેક વિષયો અંગે લેખન કર્યું છે. આ તમામ પુસ્તકો નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે આયોજિત ગુજરાત ભાજપની ૩ દિવસીય કારોબારીમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રદેશ કારોબારી સભા ખંડ અને ટેન્ટ સિટી પાસે બનાવવામાં આવેલી આ ગેલેરી ભાજપના નેતાઓના આકર્ષણનું પ્રમુખ કેન્દ્ર બની છે.SSS