Western Times News

Gujarati News

‘’દિવ્યાંગજનોની તકલીફ દૂર કરવી એ સફળ માનવજીવનની લાક્ષણિકતા’’ -મુખ્યમંત્રી

રાજ્ય સરકારે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને એસ.ટી પાસને આજીવન માન્ય કરી દિવ્યાંગોને હાલાકી ન પડે તેની કાળજી રાખી. – મુખ્યમંત્રીશ્રી

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો ત્રિ-દિવસીય કાર્યક્રમ યોજાયો. -દિવ્યાંગોને નિ:શુલ્ક કૃત્રિમ પગ,પોલિયો કેલીપર્સની સહાય

ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, જયપુર (રાજસ્થાન) કોટા શાખા  દ્વારા આયોજિત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય આપવામાં આવ્યા. દિવ્યાંગો માટે આયોજિત ત્રિદિવસીય શિબિરમાં જરૂરિયાતવાળા વિકલાંગોને મફત કૃત્રિમ પગ  (જયપુર ફૂટ) તથા પોલિયો કેલીપર્સ તથા બગલઘોડી વિનામૂલ્યે આપવામાં આવશે.

તા.૨૦ થી ૨૨ સપ્ટેમ્બર સુધી શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ- કન્યા છાત્રાલય નારણપુરા ખાતે આયોજીત શિબિરમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે સેવા કાર્યો કરનાર ટ્રસ્ટો અને સંસ્થાઓ સાથે સરકાર હંમેશા જોડાયેલી જ છે.

સમગ્ર ગુજરાતમાં કોઈ પણ દિવ્યાંગ ભાઇ-બહેન કોઇ સહાયથી વંચિત ન રહે એના માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. ગુજરાત રાજ્યના ખૂણે-ખૂણે વસતા તમામ દિવ્યાંગ સુધી સહાયતા પહોંચે અને એ દિવ્યાંગો સ્વનિર્ભર થાય એ મુખ્ય ઉદ્દેશ છે.

‘’માનવ સેવા એ જ પ્રભુસેવા’’ માનવીના દુઃખ-દર્દ દૂર કરવા એ જ મોટું સેવાકીય કાર્ય  છે. તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રી  એ વધુમાં જણાવ્યું કે જગતના સર્વ ધર્મ શાસ્ત્રોમાં એક વાત જરૂર કહી છે કે દિવ્યાંગજનોની તકલીફ દૂર કરવી એ સફળ માનવજીવનની લાક્ષણિકતા છે. આપણી આસપાસ ઘણા એવા લોકો રહે છે-જીવે છે,

જેમને કુદરતે આપણા બધા કરતાં કંઇક ઓછું આપ્યું છે. શારિરીક તકલીફ આપી છે એવા લોકોને મદદ કરીને સહાયરૂપ થવું એ સભ્ય સમાજની પરંપરા છે. દિવ્યાંગ લોકોને સામાન્ય જીવન જીવવામાં ઘણી અડચણો આવતી હોય છે આવા સમયે તેમને પરિવારજનો અને  આસપાસના લોકોએ સાથ-સહકાર આપવો એ ખૂબ જ જરૂરી છે. દિવ્યાંગજનોનું સમાજમાં પુન:સ્થાપન થાય અને તેએ સામાન્ય જીવન જીવતા થાય એ માટે સમાજના સક્ષમ લોકોએ આગળ આવવું પડે.

મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે ભગવાન મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિ દ્વારા આજે માનવસેવાનો વધુ એક યજ્ઞ આરંભ્યો છે. જયપુર ફુટ આ સાધન સહાય માટે સંપૂર્ણ જગતભરમાં જાણીતું છે. ભગવાન મહાવીરના સિદ્ધાંતને અનુસરીને આ સંસ્થા છેલ્લા પાંચ દાયકાથી જનસેવાનું અદભુત કાર્ય કરી રહી છે જે કાબિલે દાદ છે. જેણે અત્યાર સુધીમાં લાખો દિવ્યાંગોને વિનામૂલ્યે અનેક સાધનોની સહાય આપી છે

આજે દિવ્યાંગ વિકલાંગ વ્યક્તિઓના પરિવારજનોના જીવનમાં સોનાનો સુરજ ઉગ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે, કેન્દ્ર સરકારે માનવીય સંવેદના પ્રત્યે અભિગમ દાખવીને દિવ્યાંગોના જીવનમાં બદલાવ કઈ રીતે લાવી શકાય તે દેશ અને દુનિયાને બતાવ્યું છે.

વિકલાંગતા ધરાવતા વિશિષ્ટ વ્યક્તિઓને દિવ્યાંગની આગવી ઓળખ આપીને સુગમ્ય ભારત અભિયાન હેઠળ સાંકળી લેવામાં અવ્યા છે. દિવ્યાંગો જાહેર સંસ્થાઓ, ટ્રેન, બસ, હવાઇ સેવાઓ, લિફ્ટ અને ઇમારતો જેવી જાહેર જગ્યાઓ પર સરળતાથી અને સ્વયં પહોંચી શકે તથા સફર કરી શકે એવી જાગૃતિ સામાજિક વ્યક્તિઓને જોડીને જગાવવામાં આવી છે.  દિવ્યાંગ  ભાઇ-બહેનો પણ હવે ગૌરવથી નવજીવન જીવવા માટે સક્ષમ બન્યા છે અને ‘’મેરા દેશ બદલ રહા હૈ’’ ની અનુભૂતિ કરી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રી એ આ પ્રસંગે વિશેષમા જણાવ્યુ હતું કે પહેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે  વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી પણ હવે સંપૂર્ણ સંવેદનાથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન એટલે કે લાઇફ ટાઇમ માટે માન્ય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તથા દિવ્યાંગ વ્યક્તિઓને એસ.ટી બસમા મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી આજીવન ધોરણે જીવનભર માટે માન્ય રાખવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

દિવ્યાંગ વ્યક્તિઓને તેમના જીવનમાં ઓશિયાળાપણા હોવાનો ભોગ ન બનવું પડે અને તેઓ પણ સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે જુનો નિયમોમાં બદલાવ લાવવાની નવતર પહેલ કરી છે. હવેથી દિવ્યાંગ વ્યક્તિ સરકારની વિવિધ યોજનામાંથી પોતાના મનગમતા ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકશે.

મુખ્યમંત્રી શ્રી એ વધુમા જણાવ્યુ હતું કે તાજેતરમાં જ ટોક્યો પેરાલિમ્પીકમાં સિલ્વર મેડલ જીતનારી ગુજરાતની દીકરી અને ઘાટલોડિયા રહેતી ભાવિના પટેલ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.  ભાવિના પટેલે દિવ્યાંગ હોવા છ્તાંય રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા છે. એટલે હવે દિવ્યાંગ હોવું એ અભિશાપ નથી.

દિવ્યાંગોના કલ્યાણ અને રોજગારી તથા આર્થિક ઉત્કર્ષ માટે રાજ્યમાં ‘’દિવ્યાંગ આર્થિક વિકાસ નિગમ’’ની પણ રચના કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે માતબર રકમ દિવ્યાંગ વ્યક્તિઓના શિક્ષણ અને તાલીમ માટે ખર્ચ કરવામાં આવે છે. રાજ્ય સરકારની સંત સુરદાસ યોજના અંતર્ગત બૌદ્ધિક અસમર્થતા ધરાવતા ૨૫ હજારથી વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓને પેન્શનની રકમ તેમના ખાતામાં દર મહિને નિયમિત રીતે મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દિવ્યાંગો માટે સંપૂર્ણપણે સંવેદનશીલ છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું હતું કે ભારત સરકારના દિવ્યાંગ વિભાગ દ્વારા યુનિક આઇ.ડી રાખવાની યોજના છે ગુજરાતમાં પણ યુનિવર્સલ આઇ.ડી પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત ગુજરાતમાં અઢી લાખથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને યુનિક આઈડી આપવામાં આવ્યા છે. ઉપરાંત દિવ્યાંગ શિષ્યવૃતિ, સાધન સહાય,પેન્શન સ્કીમ, દિવ્યાંગ વ્યક્તિઓને લગ્ન સહાય,  તેમના કુટુંબીજનોનો વીમો જેવી અનેક સહાયથી રાજ્ય સરકાર તેમની દરકાર લઈ રહી છે. રાજ્ય સરકાર દિવ્યાંગ વ્યક્તિઓને સ્વરોજગારીથી ઉન્નત મસ્તકે જીવતા કરવા સ્ટાર્ટઅપ જેવી યુવા સાહસિકતા યોજનામાં તેમની ક્ષમતા અનુસાર તેમને વ્યવસાય કરવા સહાય આપી રહી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી એ ભગવાન મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભગવાન મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિના સ્થાપક શ્રી ડી.આર. મહેતાએ સંસ્થાની કામગીરી વિશે ચિતાર રજુ કર્યો હતો.

સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ કાકડીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં સંસ્થાની પ્રવૃતિઓ વિશેની માહીતી આપી હતી.

આ પ્રસંગે  ભગવાન મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિના પ્રમુખ, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના પ્રમુખશ્રી, એલિસબ્રીજ અને સાબરમતીના ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટર્શ્રીઓ,  સંસ્થાના હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ, અમદાવાદના પૂર્વ મેયરશ્રી, વિવિધ સંગઠનના ચેરમેનશ્રીઓ, હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ, અને દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.