Western Times News

Gujarati News

ગુજરાતમાં ડ્રગ્સ અંગે બાતમી આપનારને ઈનામ અપાશેઃ હર્ષ સંઘવી

ગાંધીનગર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કેફી અને નશાકારક દ્રવ્યોના વેપારને નાથવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. રાજ્યના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ત્યારે રાજ્યના યુવાનોએ પણ આ નશાખોરીની ચુંગાલમાંથી છુટવા માટે સંકલ્પબધ્ધ બનવું પડશે.

ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, નશાબંધીને લગતા ગુન્હાઓને નેસ્તનાબુદ કરવા એ રાજ્ય સરકારની પ્રાથમિક અગ્રિમતા છે.

રાજ્યનું યુવાધન માદક દ્રવ્યોના નશાની ચૂંગાલમાં ન ફસાય તે માટે આવી પ્રવૃતિઓને અટકાવવા માટે પોલીસ તરફથી થતા પ્રયત્નોમાં જાેડાયેલા કર્મચારી/ અધિકારીઓ તેમજ આ કેફી દ્રવ્યો અંગેની માહિતી આપનાર બાતમીદારના જાેખમને ધ્યાને લેતાં તેઓને ઇનામ તરીકે આકર્ષક રકમ આપવામાં આવે તો તેઓનો ઉત્સાહ જળવાઈ રહે અને ખંતથી કામ કરે તેમજ આ પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સરકારની યોજના સફળ થઈ શકે. તે આશયથી રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો ર્નિણય કર્યો છે.

મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, બાતમીદારો તેમજ રાજય પોલીસના કર્મચારીઓ/ અધિકારીઓ માટે ખાસ ઇનામી યોજના બનાવવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.

ભારત સરકારના નાણા મંત્રાલયના તાઃ- ૧૦/૧૦/૨૦૧૭ તેમજ ગૃહ મંત્રાલયના તાઃ- ૨૫/૦૬/૨૦૨૦ ના પત્રને ધ્યાને રાખીને કેફી દ્રવ્યોના ગુન્હાઓમાં બાતમીદાર તથા રાજય સેવકોને પ્રોત્સાહીત કરવા સારૂ ગુજરાત રાજયમાં રીવોર્ડ પોલિસી તૈયાર કરવામાં આવી છે.

મંત્રી સંઘવીએ આ નવી રીવોર્ડ પોલિસીની વિગતો આપતા કહ્યું કે, આ રીવોર્ડ સંપૂર્ણપણે Ex-Gratia/ ઇનામ તરીકે ચુકવાશે અને સક્ષમ સત્તાતંત્ર આવા રીવોર્ડને મંજુર કરી શકશે. બાતમીદારે આપેલ બાતમીના આધારે કરવામાં આવેલ જપ્તીના સંદર્ભમાં માહિતીની વિશિષ્ટતા અને ચોક્ક્‌સાઇ, લેવામાં આવેલ જાેખમ, તકલીફો, બાતમીદારે કરેલ મદદ અને તેનું પ્રમાણ, માહિતી/ બાતમી, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના પદાર્થોની હેરાફેરીમાં સંકળાયેલ વ્યક્તિઓ અને ટોળકીઓની કડી આપે છે કે કેમ? વિગેરે બાબતો પણ રીવોર્ડની રકમ નક્કી કરતી વખતે ધ્યાને લેવાની રહેશે.

સરકારી કર્મચારીઓ/ અધિકારીઓ દ્વારા કાર્યવાહી આવી હોય એવા કિસ્સામાં સફળ જપ્તી થઇ હોય તેવા કિસ્સાઓમાં અધિકારીઓ/ કર્મચારીઓ દ્વારા કરાયેલા ખાસ પ્રયત્નો, કામગીરીમાં લીધેલું જાેખમ, કર્મચારીઓ/ અધિકારીઓની સતર્કતા, દર્શાવેલી ચતુરાઈ વિગેરે ધ્યાને લેવાના રહેશે.

માલિકો/ આયોજકો/ નાણાં પૂરાં પાડનારાઓ/ કાવતરાખોરો તેમજ હેરફેર કરનારાઓની ધરપકડ થઈ છે કે કેમ? તે ધ્યાને લેવાનું રહેશે. મંત્રીએ ઉમેર્યુ કે, જે અધિકારી/ કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગ રૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રીવોર્ડ આપવામાં આવશે નહીં.

એન.ડી.પી.એસ. અધિનિયમ-૧૯૮૫ ની જાેગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની હાલની ગેરકાયદેસર કિંમતના ૨૦ % સુધીના રીવોર્ડને પાત્ર રહેશે. સરકારી કર્મચારીઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન રૂ. ૨૦ લાખથી વધુ નહીં એટલી કુલ રકમનો રીવોર્ડની મંજૂરી/ ચુકવણી માટે પાત્ર રહેશે, એકજ કેસમાં રીવોર્ડની બાબતમાં વ્યક્તિગત કર્મચારીઓ/ અધિકારીઓને કુલ રૂ. ૨ લાખથી વધુ રકમનો રીવોર્ડ મંજૂર કરી શકાશે નહીં.

ગુજરાતમાં રાવણ દહન કાર્યક્રમ યોજી શકાશે
ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાવણ દહન મામલે પણ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે રાહણ દહન કાર્યક્રમ યોજી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે, હિન્દુ સંસ્કૃતિમાં રાવણ દહનનું એક ખુબ મોટું મહત્વ છે અને રાજ્યના સૌ નાગરિકોના જે દર વર્ષની જેમ રાવણ દહનનો કાર્યક્રમ આ વર્ષે થઈ શકે તે માટે નવરાત્રિની જેમ જ ૪૦૦ લોકોની એસઓપી અંતર્ગત રાવણ દહનની પરમિશન અમે લોકો આપવાના છીએ. રાજ્ય સરકાર તમામ તહેવારોને કોવિડને કંટ્રોલમાં રાખીને ઉડવી શકે તે માટે કટીબધ્ધ છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.