Western Times News

Gujarati News

ઝઘડીયાના પાણેથા પંથકમાં ઓવરલોડ રેતી ભરેલા વાહનોનો ત્રાસ

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

અધિકારીઓની રેતમાફિયાઓ સાથેની સાઠગાંઠને લઇને ઓવરલોડ વાહનો બેરોકટોક દોડે છે.
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયા તાલુકા માંથી પસાર થતી નર્મદાના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ રેતખનન થઈ રહ્યુ છે. સામાન્યરીતે રેત ખનનમાં ઘણા નિયમોનું પાલન લીઝધારકે કરવાનુ હોય છે.ઝઘડીયા ત‍ાલુકાના પાણેથા ઇન્દોર પંથકમાંથી વહેતી નર્મદા નદીમાંથી પણ પાછલા લાંબા સમયથી રેતી ઉલેચવાની સમસ્યા પ્રવર્તી રહી છે.
આ પંથકના નર્મદા કાંઠા વિસ્તારના અઢાર જેટલા ગામોની જનતાની અવરજવર માટે પાણેથા ઉમલ્લાનો રોડ મહત્વનો છે.ઉમલ્લા
રાજપારડી ઝઘડીયા તેમજ ભરૂચ અંકલેશ્વર અને રાજપીપલા તરફ જવા આવવા માટે આ પંથકના ગામોની જનતાએ ઉમલ્લા સુધી આવવા આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે.
આ માર્ગ પર  નર્મદાના તટ‌‌ માંથી રેતી ભરીને જતા વાહનોની સમસ્યાને લઇને આ ગામોની જનતા ત્રાસી ગઈ હોવાની વાતો સામે આવવ‍ા પામી છે.‌રેતી ભરેલા વાહનો પૈકી મોટાભાગના વાહનો ઓવરલોડ જથ્થો ભરીને દોડતા હોય છે.પાણેથા પંથકને ઉમલ્લા સાથે જોડતો આ માર્ગ ઓવરલોડ વાહનોની મોટી અવરજવરને લઈને બિસ્માર બની ગયો હતો.‌
વર્ષો બાદ રોડ નવો બનાવવાની કામગીરી શરૂ થઈ છે,ત્યારે હાલમાં નવા બનતા રોડ પર થઈને પણ ઓવરલોડ વાહનોની અવરજવર ચાલુ રહેતા રોડ કેટલો સમય ટકશે તે બાબતે ગ્રામજનો ચિંતિત બન્યા છે.આ પંથકના ગ્રામજનોના જણાવ્યા મુજબ આ અઢાર ગામોની જનતાની અવરજવર માટેના આ માર્ગ પરથી ઓવરલોડ રેતી ભરીને દોડતા વાહનો બાબતે ખાણખનીજ સહિત સંબંધિત વિભાગોને અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતા કોઈ પગલા લેવાતા નથી.
ખરાબ રસ્તાને લઇને આ પંથકમા એમ્બ્યુલન્સને આવવામાં પણ તકલીફ પડે છે.ઉપરાંત લ‍ાંબા સમયથી આ પંથકના ગામો બસ સેવાથી પણ વંચિત છે.તેને લઈને ગ્રામજનો ઉપરાંત વિદ્યાર્થીઓને પણ હાલાકિ ભોગવવી પડે છે. નદીના પટમાં પાણીમાં નાવડીઓ મુકીને રેતી ઉલેચાય છે.
જે બાબત રેત ખનનના નિયમ વિરુદ્ધ હોવા છતા કોઈ પગલા લેવાતા નથી. પાણીમાંથી રેતી ઉલેચવાનુ કૃત્ય નિયમ વિરુધ્ધનું ગણાવતા ગ્રામજનોએ આ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો.દરમ્યાન ઓવરલોડ વાહનોની સમસ્યા થી ત્રસ્ત ગ્રામજનોએ આજે નાછુટકે તંત્રને જાગૃત કરવા રેતીની ટ્રકોને રોકીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ગ્રામજનોના જણાવ્યા મુજબ આજે ચાલીસ થી પચાસ જેટલી ટ્રકો ગ્રામજનોએ અટકાવી હતી.મોટાભાગની ટ્રકો ઓવરલોડ જથ્થો ભરેલી હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છેકે આ પંથકમાંથી રેતી ભરીને જતા વાહનો ઉમલ્લા,રાજપારડી અને ઝઘડીયાની ચોકડીઓ પરથી પસાર થાય છે.
આ ત્રણે સ્થળોએ પોલીસ સ્ટેશનો આવેલા છે છતાં ઓવરલોડ અને નિયમોનો ભંગ કરીને દોડતા આવા વાહનો કેમ અટકતા નથી એવો સવાલ પણ ગ્રામજનોમાં જણાય છે.ત્યારે આ બાબતે હવે તંત્ર જાગૃત થઇને નિયમોનો ભંગ કરતા રેત માફિયાઓ અને વાહનો બાબતે પગલા ભરશે ખરુ?કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યુ રહેશે?ગ્રામજનોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લાની હદમાં આવેલ રેતીની લીઝ સંબંધી વાહનો પણ પાણેથા ઉમલ્લા રોડ પરથી પસાર થતા હોઈ સમસ્યા દિવસે દિવસે ઘેરી બનતી જાય છે.
ઝઘડીયા તાલુકાના સારસા ગામે માધુમતી ખ‍ાડીમાં નાવડી મુકીને ઉલેચાતી રેતી. ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામેથી વહેતી માધુમતિ ખાડીમાં પણ લાંબા સમયથી નાવડી મુકિને રેતી ઉલેચાય છે.આ નાની ખાડી છે.રોજ ટ્રકો ભરીને રેતી ઉલેચાતા ખાડીમાં ઉંડા ખાડા પડતા ભવિષ્યમાં બાળકો અને પશુઓ ડુબવાની દહેશત રહેલી છે.
સારસા ગામે થોડો સમય પહેલા લીઝ ધારકે પંચાયત સભ્યોને પૈસા આપ્યા હોવાનો વિવાદ થયો હતો.અને વ‍ાત પોલીસ સુધી પહોંચી હતી.સારસાના ગ્રામજનોએ ખેતી સંબંધિત કામો માટે વારંવાર ખાડીમાં થઇને જવુ પડે છે,ત્યારે રેતી ઉલેચાતા ખાડાઓ પડવાના કારણે થનારા અકસ્માત માટે કોણ જવાબદાર ગણાશે?થોડા સમય પહેલા માધુમતિ ખાડીની લીઝ બાબતે મોટો વિવાદ થયો હતો છતા ત્યારબાદ બધુ જૈસેથે થઈ જતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.