Western Times News

Gujarati News

કાર્બન ઉત્સર્જનમાં અંદાજિત એક અબજ ટનનો ઘટાડો કરશે: વડાપ્રધાન

ગ્લાસગો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બોલ્ડ જાહેરાત કરી હતી કે, ભારત વર્ષ ૨૦૭૦માં કુલ શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે. આ સાથે, તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ કરાર હેઠળ જળવાયુ પરિવર્તનને રોકવા માટે ‘તેની ભાવના’ સાથે ‘શાબ્દિક રીતે’ કામ કરી રહ્યું છે.

યુકેના ગ્લાસગોમાં યુએન સીઓપી ૨૬ હેડ ઓફ સ્ટેટ એન્ડ ગવર્નમેન્ટ કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા મોદીએ કહ્યું કે, ભારત ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે સખત મહેનત કરી રહ્યું છે અને તેના પરિણામો બતાવશે. ભારત તેની નીતિઓના કેન્દ્રમાં આબોહવા પરિવર્તનને રાખે છે અને ભાર મૂક્યો હતો કે શાળાના અભ્યાસક્રમમાં આબોહવા અનુકૂલન નીતિઓનો સમાવેશ થવો જાેઈએ જેથી આવનારી પેઢી આ સમસ્યાઓથી વાકેફ હોય.

કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સ્ટેન્ડ વિશે માહિતી આપતા, મોદીએ ૨૦૭૦ સુધીમાં શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા સહિત જળવાયુ પરિવર્તન સામે લડવા માટે ભારતની પાંચ પ્રતિબદ્ધતાઓની યાદી આપી હતી.નેશનલ કમિટેડ કોન્ટ્રીબ્યુશન હેઠળ બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા ક્ષમતાને ૪૫૦ જીડબ્લ્યુથી ૫૦૦ જીડબ્લ્યુ સુધી વધારવાની જાહેરાત કરી.

મોદીએ કહ્યું કે, ભારત ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા હાંસલ કરશે. ભારત ૨૦૩૦ સુધીમાં તેની ઊર્જાની જરૂરિયાતના ૫૦ ટકા રિન્યુએબલ એનર્જીમાંથી મેળવશે. ભારત હવેથી ૨૦૩૦ વચ્ચે અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે. ભારત કાર્બનની તીવ્રતામાં ૪૫ ટકાનો ઘટાડો કરશે અને ૨૦૭૦ સુધીમાં શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે.

વડાપ્રધાન કહ્યું આ પાંચ ઠરાવો ક્લાઈમેટ એક્શનમાં ભારતનું અભૂતપૂર્વ યોગદાન હશે. જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનું આહ્વાન કરતાં કહ્યું કે, પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ જીવનશૈલી એ આબોહવા પરિવર્તનને રોકવા માટે લાંબા ગાળાનો ઉકેલ હોઈ શકે છે.

મોદીએ કહ્યું, જરૂરી છે કે આપણે બધા સાથે મળીને સામૂહિક ભાગીદારી કરીએ અને એક ચળવળ તરીકે ‘ઇકો-ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ’ સાથે આગળ વધીએ. તે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ જીવનશૈલી માટે એક જન ચળવળ બની શકે છે. વિનાશક રીતે વિચારવા અને વપરાશ કરવાને બદલે, આપણે તેનો વિચારપૂર્વક અને નિશ્ચયપૂર્વક ઉપયોગ કરવો પડશે.

આ ચળવળ આપણને એવા ધ્યેયો હાંસલ કરવામાં મદદ કરી શકે છે જે મત્સ્યઉદ્યોગ, કૃષિ, આરોગ્ય, ખાદ્યપદાર્થોની પસંદગી, પેકેજિંગ, પ્રવાસન, કાપડ, જળ વ્યવસ્થાપન અને ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિ લાવશે.

મોદીએ પુનરોચ્ચાર કર્યો કે, વિકસિત દેશોએ આબોહવા ધિરાણ માટે એક હજાર અબજ ડોલર આપવાના વચનને પૂર્ણ કરવું જાેઈએ. જે રીતે ક્લાઈમેટ મિટિગેશન કરવામાં આવે છે તે જ રીતે તેનું નિરીક્ષણ કરવું જાેઈએ. ભારત ઉમ્મીદ રાખે છે કે વિકસિત દેશો આબોહવા ધિરાણ માટે વહેલામાં વહેલી તકે એક હજાર અબજ ડૉલર આપશે. જેમ આપણે આબોહવા શમન પર નજર રાખીએ છીએ, તે જ રીતે આપણે આબોહવા ધિરાણનું નિરીક્ષણ કરવું જાેઈએ.

ખરેખર ન્યાય ત્યારે જ મળશે જ્યારે એવા દેશો પર દબાણ લાવવામાં આવશે જેઓ તેમના આબોહવા ધિરાણના વચનો પૂરા નથી કરી રહ્યા.ભારત આબોહવા મુદ્દે હિંમત અને મહત્વાકાંક્ષા સાથે આગળ વધી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.