Western Times News

Gujarati News

વાયુસેનાને દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું

નવી દિલ્હી, ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય ૧૧ લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા. આ દુર્ઘટનામાં ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો જ બચાવ થયો છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસ અને રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ શરીરને ગુરુવારે સવારે કોઈમ્બતુરથી હવાઈ માર્ગે દિલ્હી લાવવામાં આવશે. આ બાજુ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સંસદના બંને ગૃહમાં આ દુર્ઘટના પર નિવેદન આપશે.

ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે તમિલનાડુના કુન્નૂર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું છે. તપાસ બાદ અકસ્માતનું કારણ સામે આવશે. એર ચીફ માર્શલ વી આર ચૌધરે આજે સવારે તમિલનાડુના નીલગિરિ જિલ્લામાં કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળે પહોંચ્યા. તેમની સાથે તમિલનાડુના ડીજીપી સી સયલેન્દ્રબાબુ પણ હતા.

પાર્થિવ દેહ દિલ્હી લાવતા પહેલા વેલિંગ્ટનમાં CDS રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ગુરુવારે સાંજ સુધીમાં પાર્થિવ દેહ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ ૧૦ ડિસેમ્બરના રોજ દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.

વાયુસેનાએ એક ટ્‌વીટમાં કહ્યું કે ખુબ જ અફસોસ સાથે તેની પુષ્ટિ કરવામાં આવે છે કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત અને ૧૧ અન્ય લોકોના મૃત્યુ થયા છે. અકસ્માત ત્યારે થયો જ્યારે જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) જઈ રહ્યા હતા જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાના હતા.

જનરલ રાવતના નિધન પર અમેરિકાએ પણ દુખ વ્યક્ત કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે જનરલ બિપિન રાવત ભારત-અમેરિકા રક્ષા સંબંધોના પ્રબળ સમર્થક હતા અને તેમણે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવામાં મદદ કરી.

ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતમાં હેલિકોપ્ટર ક્રેશમાં ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને ૧૧ અન્ય લોકોના મોત અંગે જાણીને અમને ખુબ દુઃખ થયું છે.

જનરલ રાવત એક મહત્વપૂર્ણ ભાગીદાર હતા. તે પહેલા અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગનના પ્રેસ સચિવ જ્હોન કિર્બીએ કહ્યું કે સમગ્ર અમેરિકા રક્ષા વિભાગ અને રક્ષામંત્રી લોયડ ઓસ્ટિને હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ રાવતના દુઃખદ મોત બાદ રાવત પરિવાર, ભારતીય સેના અને ભારતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.