Western Times News

Gujarati News

ગુજરાતને મોતિયા -અંધત્વમુકત રાજ્ય બનાવવાની ઝૂંબેશનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

વિનામૂલ્યે નેત્રમણિ પુરૂં પાડનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય

રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અન્વયે ૧૮ વર્ષ સુધીના બાળકોની દ્રષ્ટિ ચકાસણી કરીને ખામીયુકત બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરાય છે

 રાજ્યની તમામ જિલ્લાકક્ષાની-તાલુકા કક્ષાની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે – મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોતિયા-અંધત્વમુકત ગુજરાત ઝૂંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં આગામી વર્ષ ર૦રપ સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને ૦.રપ ટકા સુધી લઇ જવાનો ધ્યેય દર્શાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ રાજ્યમાં અમલી છે. ગુજરાતમાં ર૦૧૪માં થયેલા સર્વે મુજબ અંધત્વનો જે દર ૦.૭ ટકા હતો તે ઘટીને ર૦૧૮-૧૯માં ૦.૩૬ ટકા થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ મોતિયા-અંધત્વમુકત ગુજરાતની આ ઝૂંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબહેન સુથારની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.ધારાસભ્ય શ્રીશંભૂજી  ઠાકોર, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ઉપ મેયર શ્રી પ્રદ્યુમન સિંહ ગોલ,જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ પદાધિકારીઓ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આંખનીતથા મોતીયાવિંદની તપાસ કરાવવા આવેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી આંખના તબીબો દ્વારા થઈ રહેલી સારવાર તપાસ પણ નિહાળી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, મોતિયાની અસર સામાન્ય રીતે પ૦ વર્ષ પછીની ઉંમરે થતી હોય છે. આની સારવાર સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણિ મુકાવીને કરાવી શકાય છે.

ગુજરાતમાં આ હેતુસર આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં મોતિયા ઓપરેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે એમમુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પ્રતિ ૧૦ લાખની વસ્તીએ ૧૦૦૦થી વધુ મોતિયા ઓપરેશન દર હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ પણ ઉમેર્યુ હતું.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં જેનો ખર્ચ ૧૦ થી પ૦ હજાર રૂપિયા જેટલો થાય તેવી ફેકો ઇમલ્સીફિકેશન દ્વારા નેત્રમણિવાળા ઓપરેશન ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. એટલું જ નહિ, સમગ્ર દેશમાં હાઇડ્રોફોબીક ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ વિનામૂલ્યે પુરૂં પાડનારૂં એકમાત્ર રાજ્ય ગુજરાત છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં મોતિયાના કારણે અંધ હોય તેવા વ્યક્તિઓની શસ્ત્રક્રિયા કરીને મોતિયા અંધત્વમુકત રાષ્ટ્રનિર્માણનો નિર્ધાર કર્યો છે. ગુજરાત પ્રધાનમંત્રીશ્રીના આ નિર્ધારને સંપૂર્ણતઃ પાર પાડવા પ્રતિબદ્ધ છે. તેની ભૂમિકા શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.

તેમણે કહ્યું કે, રાજ્યમાં બેય આંખે મોતિયાના કારણે અંધ હોય એટલે કે જેમની દ્રષ્ટિ બંને આંખે ૩ મીટર કરતાં પણ ઓછી હોય તેવી તમામ વ્યક્તિઓને શોધીને મોતિયા-અંધત્વમુકત ગુજરાતની આ ઝૂંબેશ અન્વયે સરકારી હોસ્પિટલો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં વિનામૂલ્યે ઓપરેશન કરવાનું આયોજન હાથ ધર્યુ છે.

મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમમાં ૧૮ વર્ષ સુધીના બાળકોની દ્રષ્ટિ ચકાસણી કરીને ખામી ધરાવતા તમામ બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ દ્રષ્ટિ તેવી સૃષ્ટિની વિભાવના સમજાવતાં કહ્યું કે, સ્વસ્થ દ્રષ્ટિ માટે સ્વસ્થ ખોરાક પણ એટલો જ જરૂરી છે.

પ્રધાનમંત્રીશ્રીએ સ્વસ્થ ખોરાક, રાસાયણિક ખાતરમુકત ખાદ્યાન્ન માટે પ્રાકૃતિક ખેતીનું જે આહવાન કર્યુ છે તેને અપનાવી સ્વસ્થ ખોરાકથી સ્વસ્થ દ્રષ્ટિ અને સ્વસ્થ-સમૃદ્ધ ગુજરાતની નેમ પાર પાડવા તેમણે અનુરોધ કર્યો હતો.

ભૂપેન્દ્ર પટેલે આ ઝૂંબેશમાં સેવાદાન, સમયદાન અને યોગદાન આપી રહેલા સૌ સેવા કર્મીઓની સરાહના પણ કરી હતી. રાજય આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે મોતિયા અંધત્વ મુકત ગુજરાત ઝુબેશના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમા રાષ્ટ્રિય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ દ્વારા નાગરિકોને દ્રષ્ટિ આપવા માટે હાકલ કરી છે એ સંદર્ભે પણ ગુજરાત દેશને નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

મંત્રી શ્રીમતી સુથારે ઉમેર્યુ કે,સામાન્ય રીતે ૫૦ વર્ષ ઉપરના લોકોમા મોતિયાના કેસ જોવા મળે છે આવા નાગરિકોને શોધીને છેવાડાના વિસ્તાર સુધી સ્કીનીગ કરીને મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરી મોતિયા અંધત્વ મુકત ગુજરાતના પ્રયાસો રાજય સરકાર કરશે.રાજયમાં સરકારની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ મોતિયાના ઓપરેશનો માટે ઉમદા કામગીરી કરી રહી છે એમને સૌને અભિનંદન આપીને આ ઝૂબેશમા વધુને વધુ સહયોગ આપવા તેમણે અપીલ કરી છે.

તેમણે ઉમેર્યુ કે,આપણા બાળકોની પણ દ્રષ્ટિની ચકાસણી માટે પ્રતિવર્ષ યોજાતા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ચકાસણી કરવામા આવે છે અને પ્રતિવર્ષ જરૂરિયાત બાળકોને વિનામૂલ્યે ચશ્માનુ વિતરણ પણ કરવામા આવે છે.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે કહ્યું કે, ઉંમર વધતા દૃષ્ટિની ખામી સર્જાતી હોય છે. ૫૦ વર્ષની ઉંમર બાદ મોતિયાનું ઓપરેશન કરાવવું પડતુ હોય છે. જો તે ન થાય તો સમય જતા દ્રષ્ટિહીનની ખામી સર્જાય છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને મોતિયા અંધત્વથી મુક્ત કરવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

જેમાં આશાબહેનો અને આરોગ્યની ટીમ છેવાડાના માનવી સુધી પહોંચી આંખોની તપાસ કરી જરૂરિયાતમંદને સ્વૈચ્છિક સંસ્થાઓ/હોસ્પિટલો સુધી પહોંચાડી સારવાર અપાવશે. જે માટે આશાબહેનોને રૂ. ૩૫૦ની સહાય પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.   આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ સૌનું સ્વાગત કર્યું હતું.

આ ઝુંબેશ પ્રારંભ વેળાએ આરોગ્યના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ,નેશનલ  હેલ્થ  મિશનના ડાયરેકટર સુશ્રી રેમ્યા મોહન,કલેકટર કુલદીપ આર્ય, મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ સહિત લાભાર્થીઓ,તબીબો અને આરોગ્ય સેવાકર્મીઓ અને ગાંધીનગર શહેર તથા જિલ્લાના પદાધિકારીઓ પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.