Western Times News

Gujarati News

દરવાજો મોડો ખોલતાં પત્નીને મારનાર પતિ સામે ફરિયાદ

અમદાવાદ, શાહપુર વિસ્તારમાં રહેતી એક ૨૨ વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે કે, તેના પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી. તેનો વાંક માત્ર એટલો હતો કે તેણે ઘરનો દરવાજાે મોડો ખોલ્યો હતો. આ વાતથી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને માર મારી ઘરની બહાર ફેંકી દીધી હતી.

મહિલાએ આ મામલે ગુરુવારે શાહપુર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ (એફઆઈઆર) નોંધાવી હતી. મહિલાનો આરોપ છે કે, તે તેના બેડરૂમમાં આરામ કરી રહી હતી. એ સમયે તેનો પતિ ઘરે મોડો આવ્યો હતો અને દરવાજાે ખખડાવ્યો હતો.

એટલે તે તરત જ બેડ પરથી ઊઠી ગઈ હતી અને દરવાજાે ખોલ્યો હતો. આ સમયે તેનો પતિ ભારે ગુસ્સે ભરાયો હતો અને તેણે દરવાજાે મોડો ખોલવાનો આરોપ લગાવ્યો. પત્નીએ તેને વાત સમજાવવાનો પ્રયાસ કર્યો તો પતિ ઉશ્કેરાઈ ગયો હતો માર માર્યો હતો.

મહિલાએ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ મુજબ, તેના પતિએ તેને ધકેલી દીધી હતી અને તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાનો આરોપ છે કે, તેના પતિએ તેનું માથુ દીવાલ પર પછાડ્યું હતું. જે બાદ તે ઈજાગ્રસ્ત થઈ હતી અને પતિએ એ સ્થિતિમાં જ તેને તરછોડી મૂકી હતી.

મારઝૂડ કર્યા પછી તેના પતિએ તેને અને તેના એક વર્ષના દીકરાને ઘરની બહાર ધકેલી મૂક્યા હતા. પતિની મારઝૂડ સહન કર્યા પછી મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમને ઘટનાની જાણ કરી હતી. બાદમાં તેણે શાહપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ઘરેલૂ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ ફરિયાદમાં કરેલા આરોપ મુજબ, તેનો પતિ એક બિઝનેસ શરૂ કરવા માગતો હતો. જેના માટે તે તેણીના માતા-પિતા પાસેથી સતત રૂપિયા લાવવા માટે દબાણ કરતો કરતો હતો. જાે કે, મહિલાના માતા-પિતા આર્થિક રીતે સદ્ધર ન હોવાથી આ માગ પૂરી કરી શકે એમ નહોતા.

આ સાથે જ પતિ દ્વારા મહિલાને દહેજ ન લાવવા બાબતે પણ અવારનવાર માર મારવામાં આવતો હતો. મહિલાનું કહેવું છે કે, તેણે ૨૦૧૯માં લગ્ન કર્યા હતા. પૈસા મેળવવા માટે તેના પતિએ દાગીના વેચવા માટે પણ દબાણ કર્યુ હતુ. આ મામલે શાહપુર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.