Western Times News

Gujarati News

પંત સદી ચૂક્યો, ભારતના પ્રથમ ઈનિંગ્સમાં ૩૫૦ રન

મોહાલી, ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતે પ્રથમ દાવમાં ૬ વિકેટ ગુમાવીને ૩૫૭ રન બનાવ્યા છે. રિષભ પંત ૯૬ રન બનાવીને આઉટ થયો હતો. પંતને લકમલે બોલ્ડ કર્યો હતો. હાલમાં જાડેજા ૪૫ રન સાથે ક્રિઝ પર છે જ્યારે અશ્વિન ૧૦ રન બનાવીને ક્રીઝ પર હાજર છે.

ભારતીય ટીમની શરૂઆત સારી હતી અને કેપ્ટન રોહિત શર્માએ મયંક અગ્રવાલ સાથે પ્રથમ વિકેટ માટે ૫૨ રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને લાહિરુ કુમારાએ રોહિત શર્માને ૨૯ રન પર આઉટ કરીને તોડી હતી. આ પછી ભારતે તેની બીજી વિકેટ મયંક અગ્રવાલના રૂપમાં ગુમાવી જે ૩૩ રનના સ્કોર પર લસિથ એમ્બુલ્ડેનિયાના હાથે આઉટ થયો હતો.

વિરાટ કોહલીએ તેની ૧૦૦મી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ૪૫ રન બનાવ્યા અને એમ્બુલડેનિયા દ્વારા બોલ્ડ થયો. હનુમા વિહારીએ ૫૮ રનની ઇનિંગ રમી હતી અને તેને વિશ્વા ફર્નાન્ડોએ આઉટ કર્યો હતો. ભારતની ૫મી વિકેટ શ્રેયસ અય્યરના રૂપમાં પડી, જે ૨૭ રન બનાવીને ડી સિલ્વા દ્વારા આઉટ થયો હતો. ભારતને ઋષભ પંતના રૂપમાં છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. પંત ૯૬ના સ્કોર પર લકમલનો શિકાર બન્યો હતો.

પ્રથમ ટેસ્ટ માટે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં, પૂજારાને સ્થાને હનુમા ત્રીજા નંબરે જ્યારે રહાણેના સ્થાને શ્રેયસ અય્યરને નંબર પાંચ પર લેવામાં આવ્યો હતો. તે જ સમયે, આ ટીમમાં ત્રણ સ્પિનરો અને બે ઝડપી બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શમી અને બુમરાહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે, જ્યારે જાડેજા, અશ્વિન અને જયંત યાદવ સ્પિન આક્રમણની જવાબદારી સંભાળશે. મોહાલીના મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ સારું રહ્યું છે, ખાસ કરીને ૨૦૧૦થી અત્યાર સુધી ભારત આ મેદાન પર એકપણ ટેસ્ટ મેચ હારી નથી.

તે જ સમયે, ભારતે વર્ષ ૧૯૯૪માં આ મેદાન પર તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેનો પરાજય થયો હતો, પરંતુ તે પછી ટીમ ઈન્ડિયાને આ મેદાન પર ક્યારેય ટેસ્ટમાં હાર નથી મળી. મોહાલીમાં, ભારતે અત્યાર સુધીમાં કુલ ૧૩ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે ૭ મેચ જીતી છે, જ્યારે એકમાં હાર અને પાંચ મેચ ડ્રો રહી છે.

જ્યાં એક તરફ રોહિત શર્મા કેપ્ટન તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે તો બીજી તરફ ભારતીય ટીમના પૂર્વ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પોતાના ટેસ્ટ કરિયરની ૧૦૦મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. વિરાટ કોહલી ભારત માટે ૧૦૦ ટેસ્ટ મેચ રમનાર ૧૨મો બેટ્‌સમેન બન્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.