Western Times News

Gujarati News

ઉતરપ્રદેશમાં નવી સરકારની રચના માટે તૈયારીઓ તેજ થઈ: અમિત શાહ ૨૩ માર્ચે લખનૌ પહોંચશે

લખનૌ, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ રાજ્યમાં નવી સરકારની રચના માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ ૨૩ માર્ચે લખનૌ પહોંચશે. જ્યાં તેઓ કેન્દ્રીય નિરીક્ષક તરીકે ૨૪ માર્ચે યોજાનારી ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેશે.

આ બેઠકમાં યોગી આદિત્યનાથને ઔપચારિક રીતે ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. તેમના નામ પર તમામ ધારાસભ્યો સંમત થશે અને ત્યારબાદ ૨૫ માર્ચે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

ઉત્તર પ્રદેશમાં સરકારની રચના માટે ગૃહ પ્રધાન અમિત શાહને નિરીક્ષક અને ભાજપના ઉપાધ્યક્ષ રઘુવર દાસને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ૨૪મીએ યોજાનારી વિધાનસભ્ય દળની બેઠકમાં યોગી આદિત્યનાથના નામને મંજૂરી મળતા ડેપ્યુટી સીએમ અંગે પણ ર્નિણય લેવામાં આવી શકે છે.

આ પછી, ૨૫ માર્ચે, યોગી આદિત્યનાથનો શપથ ગ્રહણ સમારોહ લખનૌના શહીદ પથ પર સ્થિત એકાના સ્ટેડિયમમાં યોજાશે. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો આ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના ઘણા મોટા નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવી શકે છે. જેમાં બસપા પ્રમુખ માયાવતી સહિત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ જેવા મોટા નેતાઓના નામ સામેલ છે.

શપથ ગ્રહણ સમારોહ સાંજે ૪ વાગ્યે શરૂ થશે. આ સાથે અહીં ૧૦ હજાર મહેમાનોના રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૨૫૫ બેઠકો મળી છે. છેલ્લા ૩૭ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મુખ્યમંત્રી ૫ વર્ષનો પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરીને ફરી એકવાર સત્તામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.