Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરમાં ત્યજાયેલા બે નવજાત મૃત મળતાં ચકચાર

પ્રતિકાત્મક

સુરેન્દ્રનગર, રાજ્યમાં અવારનવાર નવજાત બાળકોને ત્યજી દેવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ-અલગ સ્થલે બે નવજાત જન્મેલા બાળકો ઉકરડામાં ત્યજી દેવામાં આવતા મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કામગીરી હાથ ધરી બંને નવજાત શિશુના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં નવજાત શિશુને ત્યજી દેવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં હૃદયકંપી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં એક જ દિવસમાં નવજાત બાળકોને ઉકરડામાં ત્યજી દેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં જન્મ દેનાર માતા સામે ફિટકારની લાગણી પ્રસરી ગઈ છે.

ધાંગધ્રામાં બે અલગ-અલગ સ્થળ પરથી બે નવજાત જન્મેલા બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ બંને ઘટનામાં નવજાત શિશુને ઉકરડામાં ત્યજી દેવાયા છે. જેમાં એક ધાંગધ્રાના રાજસીતાપુર ગામેથી મૃત હાલતમાં તાજુ ત્યજી દીધેલું બાળક મળી આવ્યું છે. તો બીજી તરફ ધાંગધ્રાના નવયુગ સિનેમા પાસે આવેલા કોમ્પ્લેક્ષ પાસેની ગલીમાંથી પણ મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું છે.

જાે કે, અલગ-અલગ જગ્યાએથી નવજાત શિશુ મૃત હાલમાં મળી આવ્યાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસ દ્વારા બંને નવજાત શિશુઓના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ મામલે આ નવજાત શિશુ કોના છે અને કયા કારણોસર એક માતાએ પોતાનું બાળકને ત્યજી દીધું આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.