જમાલપુર-ખાડિયાની 7 મ્યુ. શાળાના બિલ્ડીંગ ભયજનક બનતા તોડી પાડવામાં આવશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/MUNICIPAL.jpg)
પ્રતિકાત્મક તસવીર
જમાલપુર વિધાનસભાની ૭ અને અસારવાની ૧ મ્યુનિ. શાળાઓનું ડીમોલીશન કરવામાં આવશે: ૪ર સ્કુલોમાં માઈનોર રીપેરીંગ કરવા રૂા.૪૭ લાખનો ખર્ચ થશે
પ કરોડના ખર્ચે અમદાવાદના કોટ વિસ્તારની ૩૪ શાળાઓના રિ-સ્ટોરેશન કરાશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સંચાલિત શાળાઓના શિક્ષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે તેમજ અનેક વિસ્તારોમાં સ્માર્ટ શાળાઓ પણ બનાવવામાં આવી છે જેના પગલે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ લઈ રહયા છે.
મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા તેમજ ગુણવતા સુધારણામાં સફળ થયા બાદ શાળાના બિલ્ડીંગોના સુધારા તરફ ધ્યાન આપવામાં આવી રહયુ છે. મ્યુનિ. શાળાના મકાનોના રીપેરીંગ, રીસ્ટોરેશન અને ડીમોલેશન અંગે તંત્ર દ્વારા સરવે શરૂ કરવામાં આવ્યો છે.
મ્યુનિ. ઈજનેર ખાતાના સરવે બાદ જે તે શાળાના બિલ્ડીંગમાં નાના-મોટા રીપેરીંગ અને રી-સ્ટોરેશનના કામ કરવામાં આવશે. શહેરના મધ્યઝોનની શાળાઓના સરવે મુજબ ૪ર શાળાઓમાં માઈનોર રીપેરીંગ, ૩૪ માં રી-સ્ટોરેશનના કામ છે જયારે જમાલપુર વિધાનસભાની આઠ શાળાઓ ડીમોલેશન કરવા માટે નિર્ણય થયો છે.
અમદાવાદ મ્યુનિ. સ્કુલબોર્ડ હસ્તકની કેટલીક શાળાના બિલ્ડીંગો જર્જરીત અને ભયજનક બની રહયા છે. જયારે કેટલીક શાળાઓમાં સેનીટેશનની સુવિધા નબળી છે જેના કારણે મ્યુનિ. કમિશ્નરે તમામ સ્કુલ બિલ્ડીંગોનો સરવે કરી ઝડપથી કામ કરવા સુચના આપી હતી
જે મુજબ કોટ વિસ્તારની ૪ર શાળાના બિલ્ડીંગમાં માઈનોર રીપેરીંગ કરવામાં આવશે જેના માટે રૂા.૪૬.૭૦ લાખનો ખર્ચ થઈ શકે છે. જયારે ૩૪ શાળાઓને રી-સ્ટોર કરવા માટે ભલામણ કરવામાં આવી છે, જેના માટે રૂા.૪.૮૮ કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ છે,
મ્યુનિ. ખાડીયા વિસ્તારની પાંચ શાળાઓ મ્ય્નિ. શાળા નં.ર૪, મ્યુનિ. શાળા નં.ર, મ્યુનિ. શાળા નં.૧૪ (બઉઆની પોળ), મ્યુનિ શાળા નં.૪ તથા મ્યુનિ. ગર્લ્સ હાઈસ્કુલ, દાણાપીઠ, હેરીટેજ નોટિફીકેશનમાં આવતી હોવાથી જેના રીપેરીંગ રીસ્ટોરેજ કે ડીમોલેશનની કામગીરી હેરીટેજ ખાતા દ્વારા કરવામાં આવશે, જમાલપુર વોર્ડની સાત શાળાઓ રી-સ્ટોર કરવા માટે ભલામણ કરવામાં આવી છે, જેના માટે રૂા.૧.૬૦ કરોડનો ખર્ચ થશે
જયારે શાહીબાગ વિસ્તારની પ્રિતમપુરા ગુજરાતી શાળાને આદર્શ સ્કુલ બનાવવામાં આવશે. જેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, જયારે ખાડીયા રોજગાર કેન્દ્રમાં આવેલી શાળા નં.૩ર નું બિલ્ડીંગ અત્યંત જર્જરીત છે તેમજ રોજગાર કેન્દ્રનો સામાન પડી રહયો છે જયારે દરિયાપુર વોર્ડની ચાર શાળાઓ માટે એક જ ટેન્ડર ઈન્વાઈટ કરવામાં આવ્યા છે,
ખાડીયા શાળા નં.૩ર (દેસાઈ પોળ)માં અર્બન સેન્ટર ચાલી રહયુ છે તેથી શાળા રી-સ્ટોર કરતા પહેલા અર્બન સેન્ટરને પણ અન્યત્ર શીફટ કરવાની ફરજ પડી શકે છે. મધ્યઝોન જમાલપુર વિધાનસભાની આઠ શાળાઓને ડીમોલેશન (ઉતારવા) કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે
જેમાં ખાડીયા મ્યુનિ. શાળા નં.ર૦ (ઢાળની પોળ)ના બીજા અને ત્રીજા માળને ઉતારી લેવા કન્સલન્ટે અભિપ્રાય આપ્યો છે તે સિવાયની અન્ય સાત શાળાઓ સૈયદવાડા ઉર્દુ શાળા નં.૦૬, મ્યુનિ. શાળા નં.ર૬ આકાશેઠ કુવાની પોળ, મ્યુનિ. શાળા નં.૧૦, મ્યુનિ. શાળા નં.ર૦ અને ૩૦, જમાલપુર ઉર્દુ શાળા નં.૧૧,૧ર તથા ખાડીયા શાળા નં.ર૪ ને ડીમોલેશન કરવામાં આવશે,
મ્યુનિ. કોર્પોરેશનના કન્સલટન્ટો દ્વારા ૩૪ શાળાઓમાં માઈનોર રીપેર માટે ભલામણ કરવામાં આવી છે, જેમાં મોટાભાગે પ્લાસ્ટર, ટોઈલેટ રીપેરીંગ, કંમ્પાઉન્ડ વોલ રીપેરીંગ, ચણતર, ટાઈલ્સ, બારી- દરવાજા રીપેરીંગ વગેરે મુખ્ય છે.