Western Times News

Gujarati News

અમદાવાદમાં ભગવાન જગન્નાથ ભક્તો વચ્ચે નગરચર્યાએ નિકળશે

File

રથયાત્રાની તૈયારીઓ માટે ગૃહરાજ્ય મંત્રીએ જગન્નાથ મંદિરમાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી

અમદાવાદ, ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નગરચર્યાએ નીકળે છે. પરંતુ કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી ભગવાનની રથયાત્રા ભક્તો વિના જ નીકળી હતી. પરંતુ આ વર્ષે એટલે કે ૧ જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રા રંગેચંગે કાઢવામાં આવશે.

રથયાત્રાની તૈયારીમાં આજે ગૃહરાજ્ય મંત્રી શહેર પોલીસ કમિશનર અને ટોચના અધિકારી જગન્નાથ મદિર પહોંચ્યા હતા. આજે ગૃહરાજ્ય મંત્રીએ મંદિરમાં આરતી ઉતારી હતી. આ વખતે નિર્વિઘ્ને રથયાત્રા શહેરના માર્ગ પર નીકળે તે માટે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

કોરોના બાદ હવે જનજીવન સામાન્ય બની ગયું છે. ત્યારે આગામી પહેલી જુલાઈએ અમદાવાદમાં તમામ પ્રકારની તાકાત સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ માટે પોલીસ દ્વારા પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં જઈને ભગવાનની આરતી ઉતારી હતી.

તે ઉપરાંત શહેરમાં રથયાત્રા નીકળે તે માટે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચાઓ પણ કરી હતી. ભગવાન જગન્નાથ અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પૂજન કરવામાં આવે છે.

મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર દ્વારા આ વખતે અખાત્રિજે ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના એમ ત્રણેય રથનું ભક્તો અને મંદિરના સેવકોની હાજરીમાં પૂજન કરવામાં આવ્યું હતું.

જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા, ભજન મંડળી તેમજ શણગાર કરેલી ટ્રકો સાથે નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તોની હાજરીમાં નીકળશે અને લોકો ભગવાનના દર્શન કરી શકશે.

૧૪મી જૂને ભગવાનની જળયાત્રા યોજાશે અને ૧ જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથની ૧૪૩મી રથયાત્રા મંદિરની બહાર કાઢવામાં આવી ન હતી. માત્ર મંદિર પરિસરની અંદર જ ત્રણેય રથને ફેરવી અને આખો દિવસ પરિસરમાં જ મૂકી રાખવામાં આવ્યા હતા.

જ્યારે વર્ષ ૨૦૨૧માં ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા નિકાળવામાં આવી હતી. પરંતુ રથયાત્રા ભક્તોને જવાની છૂટ આપવામાં આવી નહતી. આ રથયાત્રા માત્ર હાથી અને ત્રણ રથ સાથે પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ત્રણ કલાકની અંદર જ રથયાત્રા મંદિર પરિસરમાં પરત ફરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.