Western Times News

Gujarati News

રાજ્યમાં હજી પણ જુનાગઢ, ડાંગ, વલસાડ અને નવસારીમાં રેડ એલર્ટ

વધુ વરસાદવાળા વિસ્તારમાં વહીવટીતંત્ર ખડે પગે: આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

અત્યાર સુધીમાં કુલ ૩૧,૦૩૫નું સ્થળાંતર : ૯,૮૪૮ સ્વગૃહે પરત-અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય-કેશડોલ અપાશે- એસડીઆરએફની કુલ ૨૧ જ્યારે એનડીઆરએફની કુલ ૧૮ ટીમો તહેનાત

અસરગ્રસ્ત તમામ ૭૬૯ ગામોમાં વીજળી પૂર્વવત કરાઈ -કચ્છ જિલ્લામાં ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકામાં અંદાજે ૧૧૦ થી વધુ નાગરિકોને તેમજ ચાર અબોલ પશુઓને રેસ્ક્યુ કરાયા -રાજ્યના ૨૧ જળાશયો ૧૦૦ ટકાથી વધુ અને ૩૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે.

પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજજ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઇકાલે હવાઇ નિરીક્ષણ બાદ છોટા ઉદેપુરના બોડેલી ખાતે નાગરિકોને મળીને દુ:ખમાં સહભાગી થઇને તેમના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે વહિવટી તંત્રને સુચનાઓ આપી હતી.

આ ઉપરાંત નવસારીમાં પણ આશ્રયસ્થાનોમાં આશ્રય લઇ રહેલા સ્થાનિક અસરગ્રસ્તોની મુલાકાત લઇને તેમના ખબર અંતર પુછી તેમના માટે ભોજન સહિતની જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સુચનાઓ આપી હતી. એટલુ જ નહિ, અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય-કેશડોલ આપવા વહિવટી તંત્રને સુચનાઓ આપી હતી.

મંત્રી શ્રી ત્રિવેદીએ જળાશયોની વિગતો આપતા કહ્યુ હતું કે, રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે જળાશયોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે રાજ્યના ૨૧ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાઈ ગયા છે. તે ઉપરાંત ૩૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૭ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૫૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા અને ૭૭ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના જળાશયો કુલ સંગ્રહ શક્તિના ૪૬.૨૫ ટકા ભરાયા છે અને સરદાર સરોવર કુલ સંગ્રહ શક્તિના ૪૮ ટકા ભરાયા છે.

મંત્રી શ્રી ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૮ એનડીઆરએફની પ્લાટુન અને ૨૧ એસડીઆરએફની ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની બે ટીમો અને એસડીઆરએફની પાંચ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં ૫૭૫ નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર દ્વારા સ્થાનિક યુવાઓના સહયોગથી કચ્છ જિલ્લામાં ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકાના વિવિધ ગામોમાં પાણીમાં ફસાયેલા અંદાજે ૧૧૦ થી વધુ નાગરિકોને તેમજ ચાર અબોલ પશુઓને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડનાર સ્થાનિકો, એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર અભિનંદનને પાત્ર છે.

મંત્રી શ્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૩ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ માનવ મૃત્યુ થયા છે જેમાં બેના ઝાડ પડવાથી, બેના વીજળી પડવાથી અને ૯ના પાણીના વહેણમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૧,૦૯૪ નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે જ્યારે ૯,૮૪૮ નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યના ગામોમાં કાર્યરત ૧૪,૬૧૦ એસટી બસના રૂટમાંથી માત્ર ૧૩૮ ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે તેમાં પણ ૧૪ રૂટ પૂર્વવત થઈ ગયા છે જ્યારે ૧૨૪ રૂટ આજે સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે. તેવી જ રીતે ૧૮ હજારથી વધુ ગામો પૈકી માત્ર ૭૬૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. તે તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. આ માટે પણ જી.યુ.વી.એન.એલના અધિકારીઓને મંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં થયેલા વરસાદના કારણે ૫૧ સ્ટેટ હાઈવે અને અન્ય માર્ગો, ૪૮૩ પંચાયત મળી કુલ ૫૩૭ માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે જ્યારે કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે-૪૧, નવસારી નેશનલ હાઈવે-૬૪ અને ડાંગમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ કરાયો છે તે ખુબ જ ઝડપથી  પૂર્વવત થઈ જશે.

મંત્રી શ્રી ત્રિવેદીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.