Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રના લોકોને ફરવા માટે મળ્યું એક નવલું નજરાણું “રામ વન” – ધ અર્બન ફોરેસ્ટ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૪૬.૨૦ કરોડના લોકાર્પણ  તથા રૂ. ૫.૯૪ કરોડના વિકાસ કામોના ખાતમુર્હૂત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક ૪૭ એકર જમીનમાં અંદાજિત રૂ. ૧૩.૭૭ કરોડના ખર્ચે નવનિર્મિત “રામ વન” – ધ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીશ્રીએ ભગવાનશ્રી રામની પ્રતિમાને વંદન કરીને રામવનનું વિહંગાવલોકન કર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ રામવનનું નિર્માણ કરીને ગ્રીન રાજકોટ ક્લીન રાજકોટના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. જન્માષ્ટમીના પાવન અવસરે રામ વનની ભેટ સાથે  વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં રાજકોટવાસીઓનો આનંદ બમણો થયો છે.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ અમારી ટીમ ગુજરાતે નવા નવા આયામો પર કામ કર્યું છે. પર્યાવરણ સાથે તાદાત્મ્ય રાખીને સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ સાધ્યો છે. સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરીને નવો ચીલો ચીતર્યો છે.

જયશ્રી રામના નારા સાથે મેયરશ્રી પ્રદિપભાઈ ડવએ જણાવ્યું હતું કે, રંગીલું રાજકોટ આજે રામવનના ઉદ્ઘાટનથી સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક નગરી બની છે. તમામ ક્ષેત્રે રાજકોટે હરણફાળ વિકાસ કર્યો છે. ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા માટે પણ બ્રીજોનું નિર્માણ કર્યું છે જેનું આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રામવનના નિર્માણ અંગેનો મુખ્ય હેતુ ભારતનો સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસો જાળવી રાખવાનો છે તથા અત્યારના સમયમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે. જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાનશ્રી રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, ૧૫૦ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ૮૦,૦૦૦ જેટલી પ્રજાતિના ૨૫ જેટલા બ્લોકમાં જે પૈકી ૨ બ્લોકમાં મીયાવાકી થીમ આધારીત પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે “ન્યુનતમ જગ્યાના  મહતમ ઉપયોગ” કરી શુષ્ક અને પથરાળ  જગ્યામાં “જન સહયોગ થકી“ જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી-થીમ” આધારીત ફોરેસ્ટ  ઉભું કરવા જુદી જુદી જાતના વૃક્ષ, શ્રબ ક્ષુપ, લતાઓ વગેરેની જાતના વૃક્ષોનું વાવેતર કરીને કાયમી રૂપમાં જતન કરવામાં આવશે.

આ પધ્ધતિનો ઉપયોગ કરીને પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વર્ષાવનોના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.  રામવનના સમગ્ર વિસ્તારના વૃક્ષોનું ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી પીયત આપવામાં આવશે. જેથી પાણીનો વપરાશ ન્યૂનતમ થાય અને વિકાસ પામનાર વૃક્ષો માટે સિપેજ રિસાયકલ પાણીનો જ ઉપયોગ કરવામાં આવશે.

રામવનમાં રૂ.૧.૬૧ કરોડના ખર્ચે ભગવાન શ્રી રામના જીવન આધારીત જુદી જુદી ૨૨ પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણની સુરક્ષાના વિચારને કેન્દ્રમાં રાખી સમગ્ર દેશને વનથી ભરપૂર બનાવવાની ઝુંબેશ સાથે અનેકવિધ કાર્યો અને પ્રકલ્પો હાથ ધર્યા છે. ત્યારે રાજકોટમાં નિર્માણ પામેલાં “રામવન અર્બન ફોરેસ્ટ” ભાવિ પેઢીને કુદરતી વાતાવરણ સાથે જોડી રાખવા ઉપરાંત પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણનું જતન કરવામાં ખૂબ મહત્વનું પુરવાર સાબિત થશે.

રાજકોટ શહેરમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૪૬.૨૦ કરોડના લોકાર્પણ તથા રૂ. ૫.૯૪ કરોડના ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા. જેમાં “અમૃત” યોજના હેઠળ વોર્ડ નં. ૧૨,૧૫,૧૭, ૧૮માં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન અને વોર્ડ નં. ૧૪ ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલી ક્વોલીટી કંટ્રોલની લેબોરેટરીનું લોકાર્પણ અને વોર્ડ નં.૩ અને ૪માં નવી વોર્ડ ઓફિસ અને વોર્ડ નં. ૨માં બજરંગવાડી ખાતે આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

રામ વનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને તા. ૨૮ ઓગસ્ટ સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તમામ શહેરીજનોને રામ વનની મુલાકાત લેવા મહાનુભાવોએ જનતા જનાર્દનને અપીલ કરી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગ્ટય દ્વારા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી અને રામવનની પ્રતિકૃતિ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ રજુ કરી હતી. આ સાથે મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. આભારવિધિ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ કરી હતી.

આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઇ વાળા, કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, માર્ગ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યોશ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ સાગઠીયા, ડે. મેયર ડૉ. દર્શીતાબેન શાહ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પ્રાદેશિક નગરપાલિકાના નિયામકશ્રી ધિમંત વ્યાસ, ડેપ્યુટી મ્યુ. કમિશ્નરશ્રી નંદાણી, શ્રી જીતુભાઈ કોઠારી, શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, તેમજ જુદી જુદી સમિતિના કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.