મ.ગુજરાત મુસ્લિમ સેવા સમાજે બિલ્કીશ બાનુ કેસના આરોપીને છોડી મૂકવાનો નિર્ણય પરત ખેચવા માંગ કરી

નડીયાદ :કલેકટર ને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ એ આવેદન આપી બિલ્કીશ બાનુ કેસ ના આરોપી ને છોડી મૂકવા નો નિર્ણય પરત ખેચવા માગ કરી
મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આજે નડિયાદ કલેકટરને આવેદનપત્ર આપી ૨૦૦૨ ના કોમી તોફાનો સમયે બિલ્કીશ બાનુ પરના ગેંગરેપ અને તેણીના પરિવારજનોના ૭ સભ્યોની હત્યાના કેસમાં ૧૧ ગુનેગારોને માફી આપી છોડી મૂકવાના નિર્ણય પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારને આપેલ માફીનો નિર્ણય પરત લેવા દિશાનિર્દેશ આપવા માગણી કરી છે.
મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક મહમદહફિજ યુ મલેક, સહિતના આગેવાનોએ આજે ખેડા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે .જેમા જણાવ્યું છે કે ગુજરાતના વર્ષ ૨૦૦૨ ના કોમી રમખાણો દરમિયાન બિલ્કીશબાનો પરના ગેંગરેપ અને તેણીના પરિવારજનોના છ સભ્યોની હત્યાના કેસમાં ૧૧ ગુનેગારોને છોડી મૂકવાનો ગુજરાત સરકારનો નિર્ણય ખૂબ જ આઘાતજનક છે.
આથી મધ્ય ગુજરાત મુસ્લીમ સેવા સમાજ ગુનેગારોને માફી આપવાના આ શરમજનક નિર્ણયને પરત ખેંચવા કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકાર ને સુચના આપવા દર્દભરી અપીલ કરીએ છીએ.
લાચાર અને નિઃસહાય સગર્ભા મહિલા બિલ્કીશબાનો પર ગેંગરેપ અને તેના પરિવારજનોના સાત સભ્યોની હત્યા કરનારા દોષિતોને સ્વાતંત્ર્ય પર્વના મહાન પ્રસંગે આજીવન કેદની સજામાંથી મુક્તિ આપીને છોડી મુકવાના ગુજરાતની ભાજપ સરકારના શરમજનક નિર્ણયથી આ દિવસ કલંકિત થઈ ગયો છે.
કેન્દ્ર સરકારની સ્પષ્ટ માર્ગદર્શિકા છે કે આજીવન કારાવાસની સજા ભોગવતા ગુનેગારો અને બળાત્કારીઓને માફી નીતિ અંતર્ગત છોડી મૂકવા જોઈએ નહીં, તેમ છતાં ગુજરાતની ભાજપ સરકારે બિલ્કીશબાનો પરના ગેંગરેપ કેસના સાત ગુનેગારોને માફી આપી છોડી મુકી પોતાની અસવંદેનશીલતા છતી કરી છે. આ નિર્ણય ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા લોકોને હતાશ કરનારો છે.
બિલ્કીશબાનો પર ગેંગરેપ કરાયો ત્યારે તેઓ પાંચ મહિનાની ગર્ભવતી હતી. ત્યારબાદ તેણીની નજર સામે જ તેની ત્રણ વર્ષની દીકરી સહિત પરિવારના છ સભ્યોની ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આવા ગુનેગારોને સખત સજા કરી નસીહત કરવી જોઈએ.
તેના બદલે ઉલટાનું ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આવા જધન્ય અપરાધના ગુનેગારોને માફી આપી છોડી મૂકવામાં આવ્યા છે, તેમાંય ચોંકાવનારી બાબત તો એ છે કે કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકો દ્વારા આવા ગુનેગારોની મુક્તિથી ખુશી મનાવી તેમનું સન્માન કરવામાં આવે છે.
જે માનવતાને લાજે તેવું કૃત્ય છે. ગુજરાત સરકારનું આ પગલું ખતરનાક પરંપરા બની જાય તે પહેલાં તેને રોકવું જરૂરી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મહિલા સન્માનની વાતો કરતા હોય ત્યારે તેમના જ રાજ્ય ગુજરાતની ભાજપ સરકાર દ્વારા એક લાચાર, નિઃસહાય અને સગર્ભા મહિલા પર ગેંગરેપ કેસના ગુનેગારોને માફી આપી છોડી મૂકવાનો નિર્ણય લેવામાં આવે તે વધુ આઘાતજનક છે.