મલાણા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/1301-Palanpur.Mahiti.jpg)
સ્વામી વિવેકાનંદજીના વિચારોને પોતાના જીવનમાં ઉતારી શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબધ્ધ બનીએઃ નાયબ માહિતી નિયામક અમિત ગઢવી
(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાની પાલનપુર તાલુકાની વિનય મંદિર હાઇસ્કુલ મલાણા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ કાર્યક્રમ નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
સૌ દેશવાસીઓ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે.
આ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે અને દરેક નાગરીક દેશની પ્રગતિ તેમજ વિકાસ માટે સંકલ્પબદ્ધ થાય તે હેતુને સાર્થક કરવા કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા જાગૃતિ કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે. મલાણા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે તેમની યાદમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ખાસ ભારત સરકાર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં વિવિધ અભિયાનો જેવા કે સ્વચ્છ ભારત અભિયાન, ફીટ ઇન્ડિયા અભિયાન એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન જેવા અભિયાનોમાં યુવાઓ અગ્રેસર રહી પોતાના વિશિષ્ટ કૌશલ્યો દ્વારા રાષ્ટ્રની પ્રગતિમાં પોતાની ભાગીદારી ભરપૂર પ્રમાણમાં નોંધાવી આ પ્રયાસને સફળ બનાવશે તેમજ આ કાર્ય માટે નિયમિત શૈક્ષણિક અભ્યાસ, સ્વસ્થ જીવનચર્યા અને વિચારોની મૌલિકતા સાથે મહેનતી અને વિવેકી બને એ માટે અપીલ કરી હતી. શ્રી અમિત ગઢવીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદજીના વિચારોને પોતાના જીવનમાં ઉતારી શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબધ્ધ બનીએ.
કાર્યક્રમમાં ખાસ વિદ્યાર્થીઓ તેમજ યુવાઓને અપીલ કરતા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશભાઈ સોનીએ ભારતની ભવ્ય સંસ્કૃતિને યાદ કરતા તેમજ સ્વામી વિવેકાનંદજીના જીવન સ્મરણો વાગોળતા આઝાદીની ચળવળના વીર ક્રાંતિકારીઓ રાણી લક્ષ્મબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્ર સમર્પિત જીવન સંઘર્ષને પોતાના જીવનમાં ઉતારી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુરના ક્ષેત્રિય પ્રચાર અધિકારીશ્રી જે.ડી. ચૌધરીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તેમજ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત અંતર્ગત ૭૫ વર્ષની ઉજવણીને સાર્થક કરવા દરેક નાગરિક રાષ્ટ્ર નિર્માણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારીની સ્વચ્છ ભારત અભિયાન, એક ભારત શ્રેષ્ઠ ભારત, ફીટ ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાવો તેમજ પર્યાવરણની જાળવણી માટે દરેક નાગરિક જવાબદાર બની આ અભિયાનોમાં પોતાની ભાગીદારી નોંધાવે એ ખૂબ જરૂરી છે આ ઉપરાંત મન કી બાત, પરીક્ષા પે ચર્ચા જેવા કાર્યક્રમોની જાણકારી આપી હતી.