Western Times News

Gujarati News

નિત્યાનંદ આશ્રમમાંથી લાપત્તા નંદિતાને શોધવા ઈન્ટરપોલની મદદ મંગાઈ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમ છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચામાં રહયો છે અને લાપત્તા બનેલી નંદિતાનું લોકશન ટ્રેસ કરવા માટે પોલીસે હવે ઈન્ટરપોલની મદદ માંગતા જ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે પિતાએ નોધાવેલી હેબીયસ કોપર્સની નકલમાં તા.૬ઠ્ઠી સુધીમાં નંદિતાને કોર્ટમાં રજુ કરવાની છે જેના પગલે હવે પોલીસ રાષ્ટ્રીય એજન્સીઓની મદદ માંગી રહી છે. બીજીબાજુ ગઈકાલે લોકર્સમાંથી મળેલા ફોનની એફએસએલ તપાસ પણ ચાલી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે હાથીજણ વિસ્તારમાં આવેલી ડીપીએસ સ્કુલના મેદાનમાં ચાલતા સ્વામી નિત્યાનંદના આશ્રમમાં બાળકોને ગોંધી રાખવામાં આવતા હોવાની માતા-પિતાની ફરિયાદ બાદ એકપછી એક ચોંકાવનારી બાબતો બહાર આવી રહી છે. રાજય સરકારે આ સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આશ્રમ શરૂ કરવામાં ડીપીએસ સ્કુલના સંચાલકો પણ તપાસના દાયરામાં આવી ગયા છે અને તેઓની વિરૂધ્ધ પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સગીર વયના બે બાળકોનો કબજા તેમના માતા-પિતાને સોંપી દેવામાં આવ્યો છે

જયારે નંદિતા અને મોટી બહેન હજુ પણ લાપત્તા છે. નંદિતાના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સની અરજી દાખલ કરતા કોર્ટે પોલીસને તા.૬ઠ્ઠી સુધીમાં નંદિતાને કોર્ટમાં રજુ કરવાનો આદેશ આપ્યો છે જેના પગલે હવે નંદિતાનું લોકેશન મેળવવા માટે પોલીસે સક્રિય પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસ તપાસ દરમિયાન નંદિતાએ બે વખત સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યા છે જેમાં પોતાના જ પિતા સામે તેણે આક્ષેપો કરતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. બીજીબાજુ પિતાએ આ તમામ વિડીયોમાં પુત્રી પર દબાણ કરી આક્ષેપો કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

નંદિતાની શોધખોળ ચાલી રહી છે ત્યારે સાયબર સેલની મદદથી તેનુ લોકેશન મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે પરંતુ તેમાં તે વિદેશમાં હોવાનું બહાર આવ્યું છે છેલ્લે તે નેપાળની સરહદમાં પ્રવેશી ત્યાંથી વિદેશ જતી રહી હોવાના પુરાવા મળતા જ પોલીસે ઈન્ટર પોલની મદદ માંગી છે. તપાસનીશ અધિકારીઓની ટીમે નંદિતા અંગે મળેલી તમામ વિગતો સાથેનો વિસ્તૃત પત્ર ઈન્ટરપોલને લખ્યો છે અને તેમાં કેટલીક વિગતો દર્શાવવામાં આવી છે ઈન્ટરપોલે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી દીધી છે.

નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા ઉપરાંત અન્ય ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ આશ્રમના સંચાલકો દ્વારા પોલીસને તથા વાલીઓને પ્રવેશ આપવામાં નહી આવતા આખરે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ બંને સંચાલિકાઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં આજે બંને સંચાલિકાઓના રિમાન્ડ પૂર્ણ થતા હોવાથી પોલીસ ટીમ બંનેને ફરી એક વખત કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરવાની છે.

બીજીબાજુ ગઈકાલે આશ્રમમાંથી લોકરને તોડીને મેળવવામાં આવેલા મોબાઈલ ફોનને એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે અને આ તમામ ફોનની તપાસ એફએસએલમાં ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં મોબાઈલ ફોનમાંથી કેટલીક મહત્વપૂર્ણ વિગતો મળી હોવાનું જાણવા મળી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.