Western Times News

Gujarati News

ઘર આંગણે યોજાતા સેવા સેતુ જેવા કાર્યક્રમોમાં પ્રજાજનોને વિશેષ જાગૃતિ દાખવવાનો કરાયો અનુરોધ

વ્યારા :રાજ્ય સરકાર જ્યારે પ્રજાજનોને ઘર આંગણે જ વિવિધ સેવાઓ પહોંચાડી રહી છે ત્યારે, પ્રજાજનો વિશેષ જાગૃતિ સાથે તેનો લાભ લે, અને બાકી રહી જતા લાભાર્થીઓ સુધી આ સેવા કાર્યની જાણકારી પહોંચાડે તેવો અનુરોધ કરતા, તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે ડોલવણના સેવા સેતુ કાર્યક્રમમાં જણાવ્યું હતું.

સામાન્ય પ્રજાજનો માટે ઉપયોગી એવી જુદી જુદી રોજિંદી સેવાઓની જાણકારી આપતા મંત્રીશ્રીએ રાજ્ય સરકારના ૧૩ જેટલા વિભાગોની પ્રજાલક્ષી સેવાઓનો વધુમાં વધુ લાભ લેવાનો, અને આવા કાર્યક્રમો બાબતે વિશેસ જાગૃતિ દાખવવા પણ અનુરોધ કર્યો હતો. દરમિયાન તાલુકાના જુદા જુદા લાભાર્થીઓને, વિવિધ યોજનાકીય લાભોનું પણ મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. મંત્રીશ્રી સહિતના મહાનુભાવો એ વિવિધ સેવા સ્ટોલ્સ ની પણ જાતમુલાકાત લીધી હતી.

સત્તાના વિકેન્દ્રિકરણ કરવાના ભાગરૂપે રાજ્ય સરકારે ડોલવણને તાલુકા કક્ષાનો દરજ્જો આપીને, સરકારની સેવાઓનો લાભ પ્રજાજનોને ઘરઆંગણે જ મળી રહે તેવી વ્યવસ્થા કરવા બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવવાની અપીલ કરતા, વાલોડના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ સંવેદનશીલ રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમનો હાર્દ સ્પષ્ટ કર્યો હતો.

પ્રાસંગિક વક્તવ્ય કરતા શ્રી મોહનભાઇએ સૌના સાથ-સૌના વિકાસની વિભાવના સ્પષ્ટ કરતા, પ્રજાજનોને ખૂબ જ સંયમ અને ધીરજ સાથે ઉપલબ્ધ સેવાઓનો લાભ લેવાનો પણ અનુરોધ કર્યો હતો. આદિવાસી સમાજ માટે સતત ચિંતિત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓની જાણકારી આપતા ધારાસભ્યશ્રીએ સરકારની કાર્યપ્રણાલીનો પણ ખ્યાલ આપ્યો હતો.

સરકારના જુદા જુદા વિભાગોની વિવિધ સેવાઓને પ્રજાજનોના ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે આયોજિત સેવા સેતુ કાર્યક્રમની રૂપરેખા આપતા તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શ્રી હાલાણીએ પ્રજાજનોને સેવા સેતુનો મોટી સંખ્યામાં લાભ લઈને, જરૂરિયાતમંદ પ્રજાજનો સુધી કાર્યક્રમની જાણકારી પહોંચાડવાની પણ અપીલ કરી હતી.

આશ્રમશાળા, પાઠકવાડીની બાળાઓની પ્રાર્થના તથા સ્વાગત ગીત સાથે શરૂ થયેલા આ કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોએ દીપ પ્રગટાવીને કર્યો હતો. આશ્રમશાળાના પટાંગણમાં આયોજિત ડોલવણ તાલુકાના આ સેવા સેતુ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી સહિત, વાલોડના ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયા, સામાજિક કાર્યકર શ્રી જયરામભાઈ ગામીત, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી માવજીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ લતાબેન, પંચાયત સદસ્યો, સરપંચો, પ્રજાજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘ, પોલીસ અધિક્ષક શ્રી એન.એન.ચૌધરી, નાયબ વન સંરક્ષક શ્રી આનંદ કુમાર, નિવાસી અધિક કલેકટર શ્રી બી.બી.વહોનીયા, પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની, સંબંધિત તાલુકા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી સહિત, જુદા જુદા વિભાગો/કચેરીઓના અમલીકરણ અધિકારીઓ, કર્મયોગી વિગેરેએ ઉપસ્થિત રહીને તેમની ભૂમિકા અદા કરી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઇ ગામીતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અંતે આભારવિધિ મામલતદાર દ્રષ્ટિ શુક્લાએ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.