Western Times News

Gujarati News

ગુજરાત વેટરનરી કાઉન્સીલની પુન:રચના કરી ૧૨ સભ્યોની કરાઈ નવનિયુક્તિ

પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે નવનિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવી પશુચિકિત્સકો-પશુપાલકોના કલ્યાણ માટે રચનાત્મક કામ કરવા અનુરોધ કર્યો

રાજ્ય સરકારની સૂચનાથી ગુજરાત વેટરનરી કાઉન્સીલની તાજેતરમાં જ પુન:રચના કરી કુલ ૧૨ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. નિયુક્તિ બાદ તા.૨૫મી મે, ૨૦૨૩ના રોજ કાઉન્સિલના સભ્યશ્રીઓની પ્રથમ બેઠક મળી હતી. બેઠક બાદ તમામ સભ્યશ્રીઓએ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી.

મંત્રીશ્રીએ નવનિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવીને રાજ્યના પશુચિકિત્સકો અને પશુપાલકોના કલ્યાણ માટે રચનાત્મક કામ કરવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત રાજ્યમાં પશુસારવાર સાથે સંકળાયેલ પશુચિકિત્સકો યોગ્ય માપદંડ મુજબ પશુઓનાં આરોગ્યની જાળવણી કરે, તેનું નિયમન તેમજ નવી શોધાતી વૈજ્ઞાનિક પદ્ધતિઓની જાણ સમયાંતરે રાજ્યનાં પશુચિકિત્સકોને મળતી રહે, તે માટે ઇન્ડિયન વેટરનરી કાઉન્સિલ એક્ટ-૧૯૮૪ હેઠળ ગુજરાત વેટરનરી કાઉંન્સીલની રચના કરવામાં આવી છે.

આજે નવનિયુક્ત સભ્યોની પ્રથમ બેઠક પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની એસ. ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં તમામ સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાઉન્સિલના નિયમોનુસાર આ બેઠકમાં પ્રમુખ તરીકે નિવૃત નાયબ પશુપાલન નિયામક ડૉ. બી. ડી. પટેલ અને ઉપપ્રમુખ તરીકે વેટરનરી ક્લિનિકલ કોમ્પેલ્ક્ષ વેટરનરી કોલેજ-આણંદના એસો.પ્રોફેસર અને હેડ ડૉ. કે. કે. હડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.