Western Times News

Gujarati News

વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના ૬ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ મોકૂફ

પ્રતિકાત્મક

બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદા સામે ગુજરાતના દરિયાકાંઠાના  જિલ્લાઓ સંપૂર્ણ સજ્જ છે.

• અન્ય જિલ્લાઓમાં ૨ દિવસ માટે જ પ્રવેશોત્સવ યોજાશે.

• નવ મંત્રીશ્રીઓને દરિયાકાંઠાના જિલ્લાઓના તંત્રવાહકોને આપત્તિ વ્યવસ્થાપન માર્ગદર્શન માટે જવાબદારી –  ત્રણ દિવસ જિલ્લાઓમાં જ રહેશે.

• નિચાણવાળા વિસ્તારમાં વસતા લોકોનું જરૂર જણાય સલામત સ્થળે સ્થળાંતર કરાશે.

• વીજળી, પાણી, દવાઓ સહિતની આવશ્યક જરૂરિયાતોને અસર પહોંચે તો તત્કાલ પુન:વ્યવસ્થાપન કરવા તાકીદ

• હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવી લેવા સૂચના

• એરફોર્સ-નેવી-આર્મી-કોસ્ટગાર્ડ સહિતની સેન્ટ્રલ એજન્સી સાથે સંકલન કેળવી જરૂર જણાય મદદ માટે તૈયાર રખાઈ.

• લોકોને ઓછામાં ઓછી અગવડ-દુવિધા પડે તે રીતે આપત્તિ વ્યવસ્થાપનનું આગોતરું આયોજન કરવા મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશો.

NDRF & SDRF Deployment in Gujarat

ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર તોળાઈ રહેલી બિપરજોય વાવાઝોડાની સંભવિત વ્યાપકતા અને અસરો સામે જિલ્લાતંત્રોની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જીણવટપૂર્વક જાયજો મેળવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજીને દરિયાઈ વિસ્તારના જિલ્લાઓના કલેકટરો પાસેથી તેમના જિલ્લામાં કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજનની વિગતો જાણી હતી.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે તેમજ સલામતી જળવાઈ રહે તે રીતે આપત્તિ વ્યવસ્થાપન માટેના દિશા-નિર્દેશો આપ્યા હતા.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લાના કાંઠા વિસ્તારના નીચાણવાળા ગામોમાં વસતા લોકોનું જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર અવશ્ય થઈ જાય તે જરૂરી છે.

આ માટે પોલીસતંત્રની મદદ લઈને પણ નિચાણવાળા વિસ્તારોના લોકોને સલામત આશ્રયસ્થાનોમાં પહોંચાડવા તેમણે તાકીદ કરી હતી

મુખ્યમંત્રીશ્રી એ વીજળી, પાણી, દવાઓ જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠાને જો અસર પહોંચે તો તત્કાલ પુન: સ્થાપન માટેની ટીમો, પંપીંગ મશીન્‍શ, જનરેટર સાહિત વ્યવસ્થાઓ તૈનાત રાખવા સૂચનો કર્યા હતા.

સંભવિત વાવાઝોડાને પગલે તીવ્ર ગતિએ પવન ફુંકાવાની  સ્થિતિ સર્જાવાની શક્યતાઓ ધ્યાનમાં લઈને જિલ્લાઓમાં હોર્ડિંગ્સ હટાવી લેવા, માર્ગો પર વૃક્ષો, વીજ થાંભલાઓ પડી જાય તો ત્વરાએ ‌‌‌‌દુરસ્તી કાર્ય હાથ ધરવા માટેની વ્યવસ્થાઓ અંગે શ્રી ભુપેન્દ્ર પટેલે માહિતી મેળવી હતી.

હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીએ આ સંભવિત વાવાઝોડાની અસર દરિયાકાંઠાના ૬ જિલ્લાઓમાં તેમજ રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં મોટા ભાગે ૧૪ જૂનથી દેખાવાની શક્યતાઓ દર્શાવી હતી.

આના પરિણામે ભારેથી અતિભારે વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો અને દરિયાઈ મોજા ઉછળવા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે એમ તેમણે વાતાવરણના ભાવિ ‌‌‌વરતારાનું પ્રેઝન્ટેશન કરતાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સમગ્ર રાજ્યમાં ૧૨ થી ૧૪ ત્રણ દિવસ માટે યોજનારો શાળા પ્રવેશોત્સવ બે જ દિવસ ૧૨ અને ૧૩ જૂને યોજવા નિર્ણય કર્યો છે.

એટલું જ નહિ, દરિયાકાંઠાના અને સંભવિત વાવાઝોડાની વધુ અસર થઈ શકે તેવા ૬ જિલ્લાઓ કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ અને મોરબીમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત ૯ મંત્રીશ્રીઓને જિલ્લા વહીવટીતંત્રએ કરેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજન કામગીરીમાં માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા જિલ્લાઓની જવાબદારી પણ મુખ્યમંત્રીશ્રીએ સોંપી છે.

તદઅનુસાર કચ્છ માટે શ્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા, મોરબી- શ્રી કનુભાઈ દેસાઈ, રાજકોટ- શ્રી રાઘવજી પટેલ,  પોરબંદર- શ્રી કુંવરજી બાવળીયા,  જામનગર- શ્રી મુળુભાઈ બેરા,  દ્વારકા- શ્રી હર્ષ સંઘવી,  જુનાગઢ- શ્રી જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટેની પરષોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.

આ મંત્રીશ્રીઓ તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચી જઈ ત્રણ દિવસ ત્યાં જ રોકાણ કરીને તંત્રને માર્ગદર્શન આપશે.

આ સંભવિત આપત્તિને પહોંચી વળવા જિલ્લાતંત્રોએ આશ્રયસ્થાન સુનિશ્ચિત કરવા, દરિયાકાંઠે લાંગરેલી હોડી – બોટને સલામત સ્થળે મૂકવા તેમજ દવાઓ, પશુહાની થાય તો ત્વરિત મૃતદેહ નિકાલ, વાવાઝોડાની સ્થિતિમાં સગર્ભા માતાઓની પ્રસુતિમાં કોઈ તકલીફ ન પડે તે માટે આરોગ્ય સેવાઓની સજ્જતા તેમજ જે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી છે તેની વિગતોની ચર્ચા તેમણે કરી હતી.

રાજ્ય સરકારે આ સંભવિત આપદાના સમયે જરૂર જણાય તો એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીની મદદ મળી રહે તે માટે સંકલન કેળવ્યું છે અને આ એજન્સીઓ પણ આપદા પ્રબંધન માટે સ્ટેન્ડબાય છે.

NDRFની કુલ સાત ટીમ રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં ડિપ્લોય કરવામાં આવી છે તેમજ ૩ ટીમ વડોદરામાં સ્ટેન્ડબાય રખાઇ છે. SDRFની ૧૨ ટીમો પણ તૈનાત છે અને જ્યાં જરૂર જણાય તે વિસ્તારોમાં પહોંચવા સજ્જ છે.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જિલ્લા કલેકટરશ્રીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે, આગામી ૭૨ કલાક સુધી દર કલાકે વાવાઝોડાની સ્થિતિ અને દિશા બદલાઈ શકવાની શક્યતા છે.

આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરો સ્થિતિ પર સતત ધ્યાન રાખી સ્થાનિક પરિબળો મુજબ યોગ્ય નિર્ણય લે અને જરૂર જણાય ત્યાં સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમના સંપર્ક સાધી વધુ મદદ પણ મેળવે તે અપેક્ષિત છે.

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં મહેસુલ, ઉર્જા, માર્ગ-મકાન, વન પર્યાવરણ, બંદરો, સાયન્સ ટેકનોલોજી, પશુપાલન સહિતના વિભાગોના વરિષ્ઠ સચિવોએ ઉપસ્થિત રહીને પોતાના વિભાગે કરેલા આગોતરા આયોજનની ભૂમિકા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.