શાળામાં ભણતા ભુલકાંઓ આંખ ચોળતા ઘરે મોકલતા સંચાલકો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/eye.jpg)
(એજન્સી) અમદાવાદ, શહેરમાં અખિયા મિલાકેના ઢીખળી નામથી જાણીતા કન્ઝકિટવાઈટિસના કેસોમાં સતત વધારો થયો છે. હવે આ રોગ શાળામાં ભણતા ભુલકાંઓ સુધી પણ પહોંચી જતાં વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતાનો માહોલ છે. એક વર્ગમાં ભણતા અનેક બાળકોમાં આ રોગનો ચેપ લાગવાનો ભય ઉભો થયો છે,
જેના કારણે શાળા સંચાલકોએ વાલીઓ માટે સ્પષ્ટ સુચના જાહેર કરી છે કે આંખ આવી હોય તેવા બાળકોને શાળાએ ન મોકલવા, જેથી અન્ય બાળકોને તેનો ચેપ ન લાગે. આંખો આવવાના કેસો વધતાં સ્કૂલના ટીચર્સસાવચેતીના ભાગરૂપે સાદા ચશ્મા કે ગોગલ્સ પહેરીને સ્કુલમાં આવી રહ્યા છે.
આજે શહેરની કેટલીક શાળાઓમાં કેજીના બાળકો તેમજ આંખમાં ખંજવાળની ફરિયાદ કરનાર અને લાલ આંખવાળા અન્ય વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સ્કુલમાંથી વાલીઓને ફોન કરીને પોતાના સંતાનોને ઘરે લઈ જવા માટે જણાવાઈ રહ્યું છે, જેથી વાલીઓ તરત જ સ્કુલે પહોંચીને બાળકને ઘરે લઈ આવ્યા હતા.
અખિયા મિલાકે નામે જાણીતો થયેલો આંખનો રોગ વરસાદ દરમિયાન ઘરમાં સૂકવેલા અને અડધા ભીના કપડાંથી પણ પ્રસરી શકે છે. શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થયાના થોડા દિવસ દરમીયાન જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા બાદ હવે કન્ઝકિટવાઈટિસના રોગમાં વધારો જાેવા મળી રહ્યો છે.
હાલમાં હોસ્પિટલમાં આવતા દર્દીમાંથી ૪૦ ટકા જેટલા દર્દીઓ આંખ આવવાના રોગના જાેવા મળી રહ્યા છે. સતત વધી રહેલા કન્ઝકિટવાઈટિસ રોગના કારણે ડોકટર્સ સાવચેત રહેવા માટે જણાવી રહ્યા છે.
બેકટેરિયાના કારણે એકથી બીજી વ્યક્તિમાં ઝડપથી પસરતો આ રોગ ઘરમાં સુકવવામાં આવતા અડધાં ભીના રહેતા કપડામાં રહી જતા બેકટેરિયાથી પણ ફેલાઈ શકે છે, જેથી ચોમાસાની સિઝનમાં કપડા પુરેપુરા સુકાઈ જાય તેની તકેદારી રાખવી જરૂરી છે એટલું જ નહિ, કન્જકિટવાઈટિસના દર્દીએ વાપરેલી વસ્તુ કે કપડાંના ઉપયોગથી પણ રોગ અન્યમાં ફેલાતો હોય છે.