Western Times News

Gujarati News

અનિલ અંબાણી પ્રાઇવેટ જેટ ભાડા પર આપવા માટે તૈયાર

નવી દિલ્હી, વેપારમાં મંદી અને ભારે દેવાની નીચે ડુબેલા કારોબારી અનિલ અંબાણીએ હવે તેમના બીજા ખર્ચ પર કાપ મુકવાની શરૂઆત કરી દીધી છે. આ દિશામાં જ એક મોટુ પગલુ લઇને અનિલ અંબાણીએ પોતાના એક લગ્ઝરી વિમાન ભાડા પર આપવાની જાહેરાત કરી દીધી છે. આના માટેની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. અંબાણીની રિલાયન્સ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ્સે પોતાના ત્રણ બિઝનેસ જેટ્‌સ પૈકી એક ૧૩ સીટવાળા ગ્લોબલ -૫૦૦૦ને બેંગલોરમાં એક વૈશ્વિક ચાર્ટર કંપનીને ભાડા પર આપવા માટેની તૈયારી દર્શાવી છે.

મામલા સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે આ એ જ વિમાન છે જેમાં અનિલ અંબાણી પોતાની યાત્રા કરતા હતા. તેમની રેગ્યુલર યાત્રા અનિલ અંબાણી આ વિમાન જ કરતા હતા. રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહેવામાં આવ્યુ છે કે રિલાયન્સ ટ્રાન્સપોર્ટની પાસે બે અન્ય વિમાન અને એક હેલિકોપ્ટર પણ છે.

હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે અભિનેતા અને કારોબારી સચિન જાશી ની વિકિંગ એવિએશન, ઇન્ડિયા બુલ્સની એરમિડ એવિએશન અને રેલિગરની લિન્ગારે પણ હાલમાં નાણાંકીય સંકટનો સામનો કરી રહી છે. આ તમામ કંપનીઓ તેમના વિમાનને વેચીને બોજને ઘટાડી દેવા માટે વિચારી રહી છે.

નાગરિક ઉડ્ડયનના કહેવા મુજબ દેશમાં નોન શેડુલ્ડ ઓપરેટરની સંખ્યા ઘટી રહી છે. આશરે એક વર્ષ પહેલા સુધી આની સંખ્યા ૧૩૦ હતી. જે હવે ઘટીને ૯૯ થઇ ગઇ છે. અનિલ અંબાણી છેલ્લા કેટલાક સમયથી ખુબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમની આર્થિક સ્થિતિ પણ ખરાબ થયેલી છે. તેમની કેટલીક કંપનીઓ પર જંગી દેવુ છે. તેમની સંપત્તિ વેચવા માટેની ફરજ પડી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.